- સુરતમાં 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
- દર વર્ષે આ પાણીની મનપાને રૂ. 140 કરોડની આવક
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકોને ઘર સુધી નળમાં ચોખ્ખુ પીવાનું પાણી મળી રહે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યાં છે. દરમિયાન સ્વચ્છતા સર્વેક્ષણ 2021 હેઠળ સુરતને વોટરપ્લસ શહેર જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સર્ટિફેકેટ પણ આપવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
કેન્દ્ર સરકારના શહેરીકાર્ય અને આવાસ મંત્રાલય દ્રારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 હેઠળ વોટર પ્રોટોકોલ સર્ટિફિકેશનના 700 માર્ક્સ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં વોટર પ્લસ પ્રોટોકોલનો હેતુ શહેરો અને નગરો દ્વારા ગંદા પાણીની વૈજ્ઞાનિક તરીકે પ્રોસેસ કરી તેનો નિકાલ થાય અને પર્યાવરણ જળસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે રીતે તેનો નિકાલ કરવાનો છે. સમગ્ર ગુજરાતમાં માત્ર સુરત જ વોટર પ્લસ શહેર બન્યું છે. શહેરમાં લગભગ 92 સ્થળો ઉપર પાણીની તપાસ કરવામાં આવી હતી. પરિક્ષણ બાદ અંતે સુરતને વોટર પ્લસ સર્ટિફિકેટ મળ્યું છે. સુરતમાં 11 સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને 3 ટ્રેસરી ટ્રિટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, તેમજ ડ્રેનેજ પાણી ટ્રિટ કરીને પાલિકા વર્ષે 140 કરોડની આવક મેળવે છે.
અત્રે ઉલ્લેખનીય છે, 2020માં સ્વસ્છતા સર્વેક્ષણમાં સુરતનો બીજો નંબર હતો. જ્યારે હવે વોટર પ્લસનું સર્ટીફિકેટ મળતા સુરતની પ્રતિષ્ઠામાં નવુ પીંછુ ઉમેરાયું છે. સુરત મનપાને દર વર્ષે ટ્રીટમેન્ટ કરેલા પાણીની લગભગ રૂ. 140 કરોડની આવક થાય છે.