Site icon Revoi.in

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ત્રિદિવસીય સહસ્ર કળશ મહાઅભિષેકનો આજથી પ્રારંભ

Social Share

બોટાદઃ  જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય ભવ્ય સહસ્ર કળશ અભિષેક ઉત્સવનો આજે શુક્રવારથી પ્રારંભ થયો હતો જેમાં આજે પહેલા દિવસે શ્રી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનું સ્થાપન કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આગામી ત્રણ દિવસ દરમિયાન જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ની પ્રેરણાથી ભવ્ય સહસ્ર કળશ અભિષેક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા આજે શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ની પ્રેરણાથી ત્રિદિનાત્મક સહસ્ર કળશ અભિષેક ઉત્સવ અંતર્ગત પ્રથમ દિવસે પ્રારંભે શ્રી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનું સ્થાપન તેમજ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું,  જેમાં સવારે 5:45 કલાકે પુજારી સ્વામી દ્રારા મંગળા આરતી કરવામાં આવી તેમજ સવારે 7 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા) દ્રારા શણગાર આરતી કરવામાં આવી હતી.

હનુમાનજી દાદાના સિંહાસનને મોગરા તથા ગલગોટાના ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. દાદાને દિવ્ય શણગારનો ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી, તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના અલૌકિક શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.