Site icon Revoi.in

સુરતમાં હજીરા રોડ પર ટ્રક પાછળ કાર અથડાતા ત્રણના મોત, બે ગંભીર

Social Share

સુરતઃ શહેરમાં ઈચ્છાપુર-હજીરા રોડ પર જીવલેણ અકસ્માતની ઘટનામાં સુરતના બે ભાઈ સહિત ત્રણને કાળ ભરખી ગયો હતો. કવાસ પાટિયા નજીક અજાણી ટ્રકની પાછળ કાર ઘૂંસી જતાં કારમાં મુસાફરી કરી રહેલા  3 વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે વ્યક્તિને  કારમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, સમગ્ર કાર પડીકું વળી ગઈ હતી. ફાયર વિભાગની ટીમને કટરથી પતરું કાપીને મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા.

આ આકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે,  મૂળ ઓડિશાના અને છેલ્લાં 15 વર્ષોથી સુરતમાં સ્થાયી  થયેલા દિનેશભાઈ બાલકૃષ્ણ પોતાની કારમાં હજીરા રોડ પર જઈ રહ્યા હતા ત્યારે  તેમની કારનો કવાસ પાટિયા નજીક અકસ્માત  સર્જાયો હતો.  જેમાં દિનેશ બાલ કૃષ્ણ અને તેના ભાઈ માનસનું મોત થયું હતું. જ્યારે ધો.10માં અભ્યાસ કરતા ગૌતમ ગુણિયલ નામના બાળકનું પણ મોત નીપજ્યું છે અને બે વ્યક્તિને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની ભયાનકતાનો એ વાત પરથી જ અંદાજ લગાવી શકાય છે કે ફાયર વિભાગની ટીમને કારનું પતરું કટરથી કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. મૃતક દિનેશની સુરતમાં જ ફોટો સ્ટુડિયોની દુકાન છે. તે પોતાની કાર લઈને પત્ની તથા ભાઈ સાથે મિત્રને મૂકવા માટે કવાસ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ રસ્તામાં ટ્રક સાથે તેની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.