Site icon Revoi.in

અન્ય રાજ્યમાં બદલીપાત્ર કર્મચારીઓને પોતાના વાહનોનું રિ-રજિસ્ટ્રેશન કરવવું નહીં પડે

Social Share

અમદાવાદઃ દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલી થતાં કે અન્ય રીતે ટ્રાન્સફર થતાં કર્મચારીઓ કે વેપારીઓના વાહનોનું રિ-રજિસ્ટ્રટેશન કરાવવું પડતુ હતું. અને ખૂબ મુશ્કેલી પડતી હતી. આથી હવે કોઇપણ રાજ્યમાં રી રજિસ્ટ્રેશન વિના વાહન ફેરવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ભારત સિરીઝ (BH) હેઠળ વાહનોનું રજિસ્ટ્રેશન ગુજરાતમાં પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશના 15 જેટલા રાજ્યોએ BH સિરીઝનો અમલ શરૂ કર્યો છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ હવે થઇ ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેના- પેરામિલેટ્રી ફોર્સના જવાનો, કેન્દ્ર- રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેમની બદલી એકથી બીજા રાજ્યોમાં થતી હોય તેમને પોતાનું વાહન અન્ય રાજ્યોમાં લઇ જતી વખતે રી રજિસ્ટ્રેશન કરવું ન પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ભારત સિરીઝ હેઠળ રજિસ્ટ્રેશનની જોગવાઇ કરવામાં આવી છે. પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ કે જેમની પણ એકથી વધુ રાજ્યોમાં બદલી થતી હોય તેઓ પણ કેટલીક શરતોના આધારે પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન BH સિરીઝમાં કરાવી શકશે.

રાજ્ય સરકારે BH સિરીઝ હેઠળ રજિસ્ટ્રેશન માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ મોટર વ્હીકલ ટેક્સના દરો પણ જાહેર કરાયા છે. જે મુજબ વાહનની કિંમત પ્રમાણે વેચાણ કિંમતના 8થી 12 ટકા ટેક્સ વસુલાશે. વાહનની વેચાણ કિંમત 10 લાખથી ઓછી હોય તો 8 ટકા, 10થી 20 લાખની કિંમત હોય તો 10 ટકા અને 20 લાખથી વધુની કિંમત માટે 12 ટકા ટેક્સ લેવાશે. ડિઝલ વાહનો માટે 2 ટકા વધુ જ્યારે ઇલેક્ટ્રીક વાહનો માટે 2 ટકા ઓછો ટેક્સ વસૂલાશે. ઇમ્પોર્ટેડ વાહનોના કિસ્સામાં બમણો ટેક્સ વસૂલવામાં આવશે. ઓનલાઇન પોર્ટલ પર બે વર્ષનો ટેક્સ પણ ભરી શકાશે.