- ગૂજરાત વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગ દ્વારા બે દિવસની કાર્યશાળામાં રાજ્યના સિદ્ધહસ્ત અનુવાદકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
[અલકેશ પટેલ] અમદાવાદ, 17 માર્ચ, 2026 – Rupaliben Burke અનુવાદ એક કુશળતા છે, બૌદ્ધિક સંપદા છે. હવે તો અનુવાદ પ્રક્રિયાની એક ઉદ્યોગ તરીકે ગણતરી થાય છે, પરંતુ 30 વર્ષ પહેલાં એવો સમય હતો જ્યારે આ ક્ષેત્રમાં સાવ જૂજ લોકો હતા અને અનઓર્ગેનાઈઝ સેક્ટર જેવી સ્થિતિ હતી, તેમ સુવિખ્યાત અનુવાદક રુપાલીબેન બર્કે આજે અહીં કહ્યું હતું.
આ પણ વાંચોઃ સુપ્રસિદ્ધ વિદુષી અરુણાબા જાડેજાએ વિદ્યાપીઠમાં અનુવાદ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું
ગૂજરાત વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગ દ્વારા આયોજિત બે દિવસની અનુવાદ કાર્યશાળાના બીજા દિવસે વિદ્યાર્થીઓ તેમજ અન્ય સહભાગીઓને માર્ગદર્શન આપતાં રુપાલીબેને અનુવાદ પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ પાસાની ચર્ચા કરી હતી.
પોતાને અનુવાદના માધ્યમથી કર્મશીલ તરીકે ઓળખાવતા રુપાલીબેન બર્કે સમગ્ર અનુવાદ પ્રક્રિયાને વિસ્તૃત રીતે સમજાવવા માટે તેના અંગ્રેજી શબ્દ ટ્રાન્સલેશન (TRANSLATION)નો આધાર લીધો અને આ શબ્દના એક-એક અક્ષરમાં અનુવાદ સંદર્ભે કેટલા અર્થ સમાયેલા છે તેની છણાવટ કરી હતી.
આ પણ વાંચોઃ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે: ફિનિશ રાષ્ટ્રપતિ
આ ઉપરાંત તેમણે અનુવાદ પ્રક્રિયામાં AIના ઉપયોગ સામે લાલબત્તી ધરી હતી. તેમણે કહ્યું કે, એક સમયે AIથી અનુવાદ તો થઈ જશે પરંતુ તેમાં મૂળ કૃતિના ભાવ નહીં આવી શકે. આ બાબતને તેમણે હાથે વણેલા કાપડ અને મશીન વણાટથી બનેલા કાપડ સાથે સરખાવી હતી. હાથે વણેલા કાપડમાં આંશિક ગાંઠ દેખાઈ શકે પરંતુ તેમાં ઓરિજિનાલિટી જળવાઈ રહેશે જ્યારે મશીનથી બનાવેલું કાપડ દેખાવમાં સુંદર લાગી શકે પરંતુ તેની કૃત્રિમતા પણ તરત ઓળખાઈ જશે, તેમ તેમણે કહ્યું હતું.
આજના સત્રના પ્રારંભે ગૂજરાત વિદ્યાપીઠ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. અતુલકુમાર પરમારે રુપાલીબેનનો પરિચય આપ્યો હતો તથા વિભાગના અધ્યાપકો ડૉ. અમરેન્દ્ર પાંડે તથા ડૉ. દિવ્યેશ ભટ્ટ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

