શ્રીનગર, 22 જુલાઈ 2026: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બુધવારે શંકાસ્પદ આતંકવાદીઓએ પોલીસની એક ટુકડી પર હુમલો કર્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અનંતનાગ શહેરમાં લાલ ચોક નજીક શંકાસ્પદ આતંકવાદીઓએ પોલીસની ટુકડી પર ગોળીબાર કર્યો, જેમાં એક પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન આ અધિકારીનું અવસાન થયું હતું. આ આતંકવાદી હુમલાની જવાબદારી પ્રતિબંધિત ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)એ સ્વિકારી હોવાનું જાણવા મળે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે લગભગ 12:30 વાગ્યે અનંતનાગના લાલ ચોક ખાતે ગોળીબારની ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમરનાથ યાત્રાની સુરક્ષા ફરજ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈનને ગોળી વાગી હતી. તેમને ઘાયલ અવસ્થામાં અનંતનાગની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
TRF એ જવાબદારી સ્વીકારી
દરમિયાન, ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) ના ‘ફાલ્કન સ્ક્વોડ’એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. TRFની સ્થાપના પાકિસ્તાનના સમર્થન સાથે 2019માં લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવી હતી.
ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારતે 5 જાન્યુઆરી, 2023ના રોજ TRFને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.

