Site icon Revoi.in

ભાવનગરના કાળિયાબીડમાં બે આખલા યુદ્ધે ચડ્યા, 20 મીનીટ સુધી મુખ્ય રોડને બાનમાં લીધો

Social Share

ભાવનગરઃ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા વારાહી ચોક નજીક સવારના સમયે બે આખલા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ મચી હતી. શરૂઆતમાં લોકોએ ઝઘડતા બન્ને આખલાંને છૂટા પાડવાના પ્રયાસો કર્યા હતા. પણ બન્ને આખલાએ એકબીજામાં શીંઘડા ભરાવી દેતા લોકોએ આખલાંની નજીક જવાની હિંમત કરી નહતી. વાહનચાલકો પણ વાહનો દૂર ઊભા રાખીને ઝઘડતા આખલાંને જોઈ રહ્યા હતા. આખલાંએ 20 મીનીટ સુધી રોડને બાનમાં લીધો હતો. ઝઘડતા આખલાંનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા વારાહી ચોક નજીક સવારના સમયે બે આખલા બાખડયા હતા.આ ઘટનામાં બંને આખલાઓએ એકબીજા પર શીંગડાથી હુમલો કર્યો હતો, જેના કારણે આસપાસના વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો. લગભગ 20 મિનિટ સુધી ચાલેલા આ યુદ્ધ દરમિયાન ટ્રાફિક જામ થયો હતો.

શહેરના અનેક માર્ગો પર છેલ્લા કેટલાક મહિનાઓથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રાહદારીઓ અને વાહન ચાલકોને રખડતા ઢોર ટોળાબંધીમાં ફરતા હોવાથી અવર-જવર કરતા લોકોમાં ડરનો માહોલ રહે છે. આ ઘટના પગલે ભાવનગર મ્યુનિની ઢોર પકડવાની કામગીરી પર એકવાર પ્રશ્નો ઉભા કર્યો છે. મ્યુનિ. દ્વારા દર વર્ષે ઢોર પકડવા માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, તેમ છતાં શહેરના મુખ્ય માર્ગો પર આખલાઓ સહિત રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે.

Exit mobile version