Site icon Revoi.in

અમીરગઢ પાસે પૂરફાટ ઝડપે આવેલી કાર ટ્રેલરની પાછળ ઘૂંસી જતાં બેનાં મોત, બેને ઈજા

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને પૂરફાટ ઝડપે દોડતા વાહનો ઓવરટેક કરતી વખતે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત બનાસકાંઠાના અમીરગઢ નજીક સર્જાયો હતો. જેમાં ટ્રેલર પાછળ પૂરફાટ ઝડપે આવેલી કાર ઘૂંસી જતાં કારમાં પ્રવાસ કરી રહેલા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.  જિલ્લાના અમીરગઢ નજીક  જૂની આર ટી ઓ ચેકપોસ્ટ પાસે આગળ જતાં ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર ચારમાંથી બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે બે ની હાલત ગંભીર હોઈ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, અમીરગઢ પાસેથી પસાર થતા આબુરોડ પાલનપુર હાઈવે પર અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. આ અકસ્માતોની સર્જાઈ રહેલી હારમાળામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જુની આર ટી ઓ ચેકપોસ્ટ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર પસાર થતા ટ્રેલરની પાછળ એક કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અમીરગઢ હાઇવે પર અમદાવાદથી રાજસ્થાન જતી કારના ચાલકને  વહેલી સવારે ઊંઘનું ઝોખું આવી જતા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા આગળ જતાં ટ્રેલરની પાછળ કારને ઘુસાડી દેતા ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અમદાવાદના બે વ્યક્તિઓના કરુણ મોત થયા હતા. જ્યારે બેને ઈજાઓ થઈ હતી.

અમીરગઢ હાઈવે પર અકસ્માત થયાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓને કારમાંથી નીકળવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં અમીરગઢ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મરણજનાર વ્યક્તિઓની લાશને પી.એમ. માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  હતી.