Site icon Revoi.in

અમદાવાદના સિંન્ધુભવન રોડ પર રાત્રે પુરફાટ ઝડપે આવેલી કારે બે પોલીસ જવાનોને ઉડાવ્યા

Social Share

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોના બનાવો બનતા જાય છે. જેમાં સિન્ધુભવન રોડ પર મોડી રાત્રે પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોય છે. પૂર ઝડપે વાહનો ચલાવવા માટે બદનામ થયેલા સિંધુભવન રોડ પર આ વખતે એક કારચાલકે બે પોલીસ કર્મચારીને ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટના રાતે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જે સંદર્ભે પોલીસે હાલ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતાની કાર લઈને પકવાન ચાર રસ્તાથી સિંધુભવન રોડ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત સર્જયો હતો.

ટ્રાફિક પોલીસના સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગત રાતે 2:00 વાગ્યાના અરસામાં સિંધુભવન પાસેના ગોટીલા ગાર્ડન પાસે પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે પકવાન ચાર રસ્તાથી સિંધુભવન તરફ એક i-20 કાર ફૂલ સ્પીડે આવી રહી હતી. જેથી કારને રોકવાનો પ્રયાસ બે પોલીસ કર્મચારીએ કર્યો હતો. ત્યારે કારચાલકે બે પોલીસ કર્મચારીઓને અડફેટે લીધા હતા. આ બનાવ બાદ કાર રોકાઈ હતી અને કારચાલક 24 વર્ષેનો જયદીપ ઝાલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કારચાલકની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને બંન્ને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર અર્થે ખસેડ્યા હતા.

ટ્રાફિક પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણીનો સમય હોવાથી સિંધુભવન રોડ પર પણ બેરીકેટ મૂકવામાં આવ્યા છે અને મોડી રાતે વાહન ચેકિંગની કામગીરી ચાલે છે. આ સમયે પોલીસ પોતાની ફરજ નિભાવી રહી હતી. આ અકસ્માતમાં ભોગ બનેલા પોલીસ કર્મચારીઓ હિતેશકુમાર અને મોહમ્મદ અનીશ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. તેમણે i20 કારને રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે કારને બ્રેક મારવાની જગ્યાએ બંનેને ઉડાવતા બંનેને ઈજા થઈ હતી. આ સમગ્ર બનાવવામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સિંધુભવન રોડ પર મોડી રાતે ઘણા લોકો પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે ફૂલ સ્પીડે વાહનો ચલાવે છે. જેના કારણે આવા અકસ્માતના બનાવો બને છે અને નિર્દોષ લોકો તેના ભોગ બને છે.