Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ પ્રયાગરાજમાં એક મકાનમાંથી દંપતિ અને 3 સંતાનોની લાશ મળી, રહસ્ય અકબંધ

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની ઘરમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મહિલા અને 3 સંતાનોની ગળા કાપેલી હાલતમાં મૃતદેહ મળ્યાં હતા. જ્યારે ઘરના મોભીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક પરિવારના પાંચ સભ્યોના મોતને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રયાગરાજ શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર નવાબગંજમાં એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખગલપુર ગામમાં ભાડે રહેતા રાહુલ તિવારી (ઉ.વ. 42), તેની પત્ની પ્રીતિ (ઉ.વ. 38) અને ત્રણ છોકરીઓ માહી, પીહુ અને 5, 7 અને 12 વર્ષની પહુને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. સવારે એક જ રૂમમાંથી પાંચ મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.

એસએસપી ઉપરાંત ઘણા પોલીસ સ્ટેશનોની ફોર્સ અને ડોગ સ્કવોડની ટીમ ખગલપુર ગામમાં પહોંચી હતી. મૃતક પરિવાર ભરવરી કૌશામ્બીનો રહેવાસી છે. ઘરના વડા રાહુલ તિવારીની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. બધાની ઊંઘમાં જ હત્યા કરવામાં આવી હતી. માતા અને તેની ત્રણેય દીકરીઓનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો પણ પહોંચીને તપાસ કરી રહ્યા છે. આ ઘટના કેમ અને કેવી રીતે બની તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવ કેવી રીતે બન્યો તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.