Site icon Revoi.in

વલસાડનો મધુબન ડેમ છલકાયો, દમણગંગા નદીમાં પાણી છોડાતા કાંઠાના ગામોને સાબદા કરાયાં

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડનો મધુબન ડેમ છલકાયો છે. જેથી ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાબદા રહેવા માટે સુચના આપવામાં આવી છે. નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના 37 ગામના લોકોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે.

વલસાડના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારના છ ગામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પરિણામે ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. નવા પાણીની આવકને પગલે ડેમ છલકાયો છે. જેથી તંત્ર દ્વારા ડેમના 10 જેટલા દરવાજા ખોલીને દમણગંગા નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વલસાડના 13 ગામ, દાદરાનગર હવેલીના 14 ગામ અને દમણના 10 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદને કારણે રોડને પણ મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લાના પંચાયતના 84 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરી છે. લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપી છે.