Site icon Revoi.in

કચ્છના અંજારમાં 40 કરોડના ખર્ચે બનેલું શાકભાજી માર્કેટયાર્ડ કાર્યરત, ખેડુતોને લાભ થશે

Social Share

ભૂજઃ કચ્છનો છેલ્લા એક દાયકાથી કૃષિ ક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. જેમાં કચ્છની ધરાને નર્મદાના પાણીથી સિંચાઈનો લાભ મળતા કેટલોક વિસ્તાર તો નંદનવન જેવો બની ગયો છે. અંજાર તાલુકામાં શાકભાજીનું સારૂએવું ઉત્પાદન થાય છે. ખેડુતોને સ્થાનિક લેવલે જ બજાર મળી રહે તે માટે 10.5 એકરમાં અને રૂ. 40 કરોડના ખર્ચે વેજીટેબલ એન્ડ ફ્રુટ માર્કેટયાર્ડ સંકુલ બનાવવામાં આવ્યુ છે. શાકભાજી માર્કેટ યાર્ડનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સહકાર વિભાગના મંત્રી જગદીશ પંચાલના હસ્તે માર્કેટ યાર્ડના શેડ હોલનું નામ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી તરીકે રાખવામાં આવ્યું હતું.

અંજારમાં  10.5 એકરમાં અને રૂ. 40 કરોડના ખર્ચે આકાર પામેલા નવા વેજીટેબલ એન્ડ ફ્રુટ માર્કેટયાર્ડ સંકુલનો લાભ સ્થાનિક વેપારીઓની સાથે સાથે સમગ્ર ગુજરાતના જથ્થાબંધ વેપારીઓ પણ લાભ લઇ શકશે. જે કચ્છ માટે ઐતિહાસિક બની રહેશે. અંજાર ખાતે આકાર પામેલા શાકભાજી માર્કેટ યાર્ડનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, એ.પી.એમ.સી. ચેરમેન ભુજ, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા એ.પી.એમ.સી. અંજારના ચેરમેન તથા અમૂલ ફેડરેશન ગુજરાતના વાઈસ ચેરમેન વલમજી હુંબલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અત્યાધુનિક ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં અંજાર સહિતના અન્ય વિસ્તારમાંથી શાકભાજી, ફળફળાદી વગેરેની મોટા પ્રમાણમાં આવક થશે. આ માર્કેટયાર્ડનો સીધો જ લાભ ખેડૂતોને મળશે. સબ માર્કેટયાર્ડમાં ફરતી પાકી બાઉન્ડ્રી, મીઠા પાણીનો બોર, 200 દુકાનો અને ગોડાઉનો, અદ્યતન 25000 સ્કે. ફૂટનો વિશાળ ઓક્શન શેડ, પાર્કિંગ માટે આધુનિક બેઝમેન્ટ, સી.સી.રોડ, સોલાર લાઈટ્સ, સીસીટીવી કેમેરા, ટોયલેટ બ્લોક, કેન્ટિન, અદ્યતન વિશાળ મેઈન ગેટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

અંજારમાં  અદ્યતન સબ માર્કેટયાર્ડનું નિર્માણ કુલ રૂ. 40 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર તરફથી રૂ. 5.67 કરોડની સહાય આપવામાં આવી છે. રાજ્યમંત્રી જગદીશ પંચાલના હસ્તે રૂ.1.50 કરોડનો ચેક બજાર સમિતિને આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત અદ્યતન શાકભાજી સબ માર્કેટ યાર્ડ વેપારીઓની સાથે ખેડૂતોને પણ વધુ ફળદાયી બની જશે. અહીંના સંકુલ ખાતે નવા 25 હજાર સ્કવેર ફુટના સેડથી જૂની શાકમાર્કેટમાં થતી ટ્રાફિકજામની સમસ્યાથી હવે છુટકારો મળશે જેનો સીધો ફાયદો વેપારીઓ અને ખેડૂતોને સમય અને શક્તિના બચાવ થકી થશે. જિલ્લાની સૌથી મોટી જથ્થાબંધ શાકમાર્કેટ ધરાવતી અંજાર માર્કેટ હવે વિકાસનો નવો આયામ બની રહેશે. નવ નિર્મિત માર્કેટયાર્ડથી સમગ્ર કચ્છની સાથે ગુજરાતનાં વેપારીઓ પણ હોલસેલ ભાવે માલ ખરીદ કરી શકશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને પણ સારા ભાવ મળવાથી થશે.