Site icon Revoi.in

વેરાવળ ફેઝ-2 મત્સ્ય બંદરના વિકાસ કામો ઓક્ટોબર-2025 સુધીમાં પૂર્ણ કરાશે : મત્સ્યોદ્યોગ મંત્રી

Social Share

ગાંધીનગરઃ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં 1600  કિલોમીટર દરિયાકાંઠે માછીમારી પ્રવૃત્તિનો વ્યાપ વધે અને બંદરોનો વિકાસ થાય એ માટે પણ સતત પ્રયાસો ચાલુ છે. તેના ભાગરૂપે વેરાવળ ફેઝ-2 મત્સ્ય બંદર વિકસાવવાની કામગીરી ઓક્ટોબર-2025 સુધીમાં પૂર્ણ કરાશે.

ગુજરાત વિધાનસભામાં વેરાવળ ફેઝ-2 મત્સ્ય બંદર વિકસાવવાની કામગીરીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ મત્સ્યોદ્યોગ અને માછીમારોના સર્વાંગી વિકાસ માટે જે પ્રયાસો હાથ ઘર્યા હતા જેના પરિણામે આજે મત્સ્ય ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ બંદરોના વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ છે. ગીર સોમનાથ જિલ્લામાં અંદાજીત રૂપિયા 700 કરોડના ખર્ચે વેરાવળ, સુત્રાપાડા અને માઢવાડ બંદરોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામો લાંબાગાળા સુધી માછીમારોને લાભ થાય એ મુજબ ગુણવત્તા યુક્ત થાય એની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. અને ઓક્ટોબર-25 સુધીમાં તમામ કામો પૂર્ણ થઈ જશે.

તેમણે ઉમેર્યું કે, વેરાવળ ફેઝ-2 પ્રોજેક્ટના વિકાસ થવાથી નવી 4500  જેટલી બોટોને સુવિધા ઉપલબ્ધ થશે. તેમજ બારમાસી માછીમારીની સુવિધા પણ મળશે. આ બંદર વિકાસ થકી આશરે 42 હજાર જેટલા લોકોને સીધી રોજગારી મળશે. તેમણે કહ્યું કે 1,600 કિલોમીટર દરિયા કિનારા પર માછીમારો ડીપ-સી ફિશીંગ કરી શકે તે માટે અભ્યાસ ચાલુ છે. જે ટૂંક સમયમાં શરૂ થાય તેવા અમારા પ્રયાસો છે તેમ તેમણે ઉમેર્યું હતું. ( File photo)