Site icon Revoi.in

500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી

Social Share

અમદાવાદઃ  કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કરાયેલા 500 કરોડના ભ્રષ્ટાચારના  કથિત આક્ષેપ મુદ્દે  વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને વકીલ મારફતે કોંગ્રેસના નેતાઓને નોટિસ મોકલી છે અને 15 દિવસમાં લેખિતમાં માફી નહિ માંગે તો બદનક્ષીનો દાવો કરશે તેમ જણાવાયું છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરીને રાજકોટ નજીકના આણંદપરની જમીનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ-અમદાવાદ રોડ પર કુવાડવા પાસે આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી તત્કાલિન સીએમ વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજે 500 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમની સામે મામલે બદનક્ષીનો દાવો કરવાની નોટિસ કોંગ્રેસના નેતાઓને ફટકારી છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એડવોકેટ અંશ ભારદ્વાજ મારફતે સિવિલ નોટિસ ઈસ્યુ કરી છે અને કહ્યું છે કે જે 500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે મામલે કોંગ્રેસ 15 દિવસમાં પુરાવા રજૂ કરે અથવા 15 દિવસમાં લેખિતમાં માફી માંગે, આરોપ પરત ખેંચે નહીં તો તેઓ બદનક્ષીનો દાવો કરશે. આ મુદ્દે આ અગાઉ નીતીન ભારદ્વાજ દ્વારા પોલીસ કમિશ્નરને બદનક્ષીની લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી હતી. રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજે વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે.ચાવડા અને અંગત મદદનીશ સામે બદનક્ષીની લેખીત ફરિયાદ કરી હતી. ત્યારબાદ નોટિસ મોકલવામાં આવી છે.