Site icon Revoi.in

શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે પાણી કેનાલમાં છોડાશે, 11650 હેકટરને સિંચાઈનો લાભ મળશે

Social Share

ભાવનગરઃ સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતા શેત્રુંજી ડેમમાં આ વખતે સારા વરસાદને કારણે પાણીનો પુરતો સંગ્રહ થયો હોવાથી ખેડુતોને સિંચાઈનું પુરતુ પાણી મળી રહેશે. શેત્રુંજી જળાશય સિંચાઇ યોજના દ્વારા આગામી સમયમાં નહેરવાટે પાણી છોડવા માટે સિંચાઇ સલાહકાર સમિતિની મીટીંગ તાજેતરમાં મળી હતી જેમાં શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ શેત્રુંજી ડેમના જમણા ડાબા કાંઠા નહેર વિભાગનાં ખેડૂત આગેવાનો તથા આ વિસ્તારના પ્રજાના પ્રતિનિધિઓ, હોદ્દેદારો તેમજ આમંત્રિત પ્રતિનિધિઓ તથા શેત્રુંજી સિંચાઇ યોજનાનાં કાર્યપાલક ઇજનેર એ.એમ.બાલધિયા અને સ્ટાફ ઉપરાંત જમણા ડાબાકાંઠા સિંચાઇ સમિતાનાં પ્રમુખોની ઉપસ્થિતિમાં સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગમાં થયેલી ચર્ચા અને ઠરાવ બાદ સિંચાઈ યોજનાના વિસ્તારના ગામોના બાગાયતદારો પાસેથી પાણી લેવા માટેના ફોર્મ તા.31-12- 22 સુધીમાં મંગાવવામાં આવ્યા છે. હાલ શેત્રુંજી જળાશયમાં સિંચાઈના હેતુસર કુલ 7,756 એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તે જોતા મહત્તમ 11,650 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થઈ શકે અને તે મુજબ ઉપરોક્ત સિંચાઈ વિસ્તારના 50% વિસ્તાર 5,825 હેક્ટર જેટલી આગોતરી  સિંચાઈ અરજીઓ સ્વીકારવામાં આવશે અને તે મુજબ પાણી છોડવાનો નિર્ણય થશે.  જોકે શેત્રુંજી સિંચાઈ માટેની મેઇન કેનાલો અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં જંગલ કટીંગ અને સમારકામ ચાલુ હોવાનું કહેવાય છે. તેથી ડેમમાંથી પિયત માટે પાણી છોડવાના નિર્ણય પહેલા સૂચિત કેનાલોની સંપૂર્ણ મરામત થઈ હોય તે અતિ આવશ્યક છે. જેના કારણે પિયત માટે છોડાયેલા પાણીનો બગાડ થયા વિના મહત્તમ સિંચાઈ થઈ શકે તેમજ પિયત આયોજનમાં છેવાડાનાં વિસ્તારને પ્રાથમિકતા આપવા ખેડૂતોનાં હિતમાં નિર્ણય લેવાની પણ જરૂરિયાત છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શેત્રુંજય સિંચાઈ સલાહકાર સમિતિની મીટીંગ મુજબ શેત્રુંજી ડેમમાંથી 15-12- 22 ના પાણી છોડવાનો નિર્ણય થયો હતો. જે અનુસાર 50 ટકા ફોર્મના બદલે આજ સુધી ખેડૂત તરફથી કોઈપણ માંગણી ફોર્મ પ્રાપ્ત થયા નથી. ઉપરાંત પાણી છોડ્યા પહેલા નહેરોનું સમારકામ પૂરજોશમાં ચાલુ છે.