ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરાવેલી દાંડીયાત્રાનું આજે ૬ એપ્રિલે દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીએ સમાપન કરાવ્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આરંભાયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રાના સમાપન સમારોહ વેળાએ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશના અનેક વીર સપૂતોએ આપેલા બલિદાનની ગાથાઓ નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે. સાબરમતી આશ્રમ ખાતેથી શરૂ થયેલી દાંડી યાત્રા માત્ર પદયાત્રા નહોતી. પણ, એ વખતે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે નવી જનચેતના જાગૃત કરવા માટેનું અભિયાન હતું.
ઉપરાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે, દાંડી યાત્રામાં સમગ્ર ભારતભરમાંથી નાગરિકો તે વખતે જોડાયા હતા. આ ઉપરાંત, દેશના વિવિધ પ્રાંતમાં પણ નમકના કાયદાના સવિનય ભંગના કાર્યક્રમો યોજાયા હતા. તેમાં કસ્તુર બા, સરોજીની નાયડું, રમાદેવી, સરસ્વતી દેવી જેવી વિરાંગનાઓ પણ જોડાઇ હતી. રાષ્ટ્રભાવ અને સ્વતંત્રતાનો જુવાળ જાગ્યો હતો. અંગ્રેજો પાસેથી સ્વાધિનતા મેળવવા માટે નાગરિકોને આ દાંડી યાત્રાએ નવી દિશા આપી હતી. મહાત્મા ગાંધીજી પોતાની આ યાત્રા દરમિયાન વચ્ચે આવતા ગામોમાં થતી સભાઓમાં નાગરિકોને સ્વાધિનતા, સ્વચ્છતા, અસ્પૃશ્યતા અને સ્વદેશીની હિમાયતનો સંદેશ આપતા હતા. ગાંધીજી પાસેથી કટુભાવ ન રાખવાથી પણ શીખ લેવા જેવી છે.
વૈંકયા નાયડુએ એમ પણ કહયું કે, ગાંધીજીના સપનાના ભારતમાં માત્ર આઝાદી જ નહોતી. તેઓ એવું સ્પષ્ટ માનતા હતા કે, જ્યાં સુધી ગરીબોનો સર્વાંગી વિકાસ ના થાય ત્યાં સુધી સ્વતંત્રતા અપૂર્ણ છે. જેવા લાભો શ્રીમંતોને મળે છે, એવા લાભો ગરીબોને ના મળે ત્યાં સુધી આઝાદી અધુરી છે. આ ખાઇ દૂર કરવા માટે આત્મનિર્ભર બનવું પણ જરૂરી છે. ખેડૂતો પણ સાચા કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ છે, એમ કહેતા ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતોના કલ્યાણ સંદર્ભે આજે નકારાત્મક પ્રચાર ચાલે છે. કોરોનાકાળમાં આ ખેડૂતોએ વિક્રમજનક ખેતઉત્પાદન કર્યું છે. આપણા દેશના વૈજ્ઞાનિકોએ બનાવેલી કોરોના વિરોધી રસી વિશ્વના બાવન દેશોને આપીને આપણે વસુંધૈવ કુટુમ્બકમની ભાવનાનો પરિચય આપ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ ગુજરાતના સાબરમતીથી પ્રારંભાયેલી દાંડી યાત્રાથી કરવા બદલ ભારત સરકારનો સૌ ગુજરાતીઓ વતી આભાર વ્યકત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાંડી યાત્રાના સમાપન સમારોહ દરમિયાન દાંડી ખાતેથી ચપટી મીઠું ઉપાડીને બ્રિટીશ રાજના પાયા હચમચાવી નાખનારા પુ.બાપુને શબ્દાંજલિ અર્પી હતી.