Site icon Revoi.in

શેત્રુંજી ડેમ ફરીવાર ઓવરફ્લો બનતા ડેમના તમામ 56 દરવાજા 1 ફુટ ખોલાયા

Social Share

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરની જીવાદોરી એવાં શેત્રુંજી ડેમ બે દિવસ બાદ ફરી છલકાતાં તંત્રને ડેમના તમામ દરવાજાઓ ખોલવાની ફરજ પડી હતી. વધારાનું પાણી ડેમના દરવાજા તથા ડાબા-જમણા કાંઠાની બંને કેનાલો વાટે છોડવામાં આવી રહ્યું છે. રાત્રે 10 દરવાજા ખોલાયા બાદ વહેલી સવારે તમામ 59 દરવાજાઓ 1 ફૂટ ખોલવામાં આવ્યાં હતાં.

ભાવનગરના શેત્રુંજી ડેમ બીજીવાર ઓવરફ્લો થયો છે. ડેમના તમામ 59 દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા છે. તેમજ નદીના કાંઠા વિસ્તારના હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ અને રાજકોટમાં સોમવારે ધોધમાર વરસાદ પડ્યો હતો અને આજે મંગળવારે પણ 44 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં જુનાગઢના માંગરોળ, કેશોદ સહિતના વિસ્તારોમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. અપર સરક્યુલેશનના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. આજદિન સુધી દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં માત્ર બે જ દિવસ વરસેલા ધોધમાર વરસાદને પગલે ગણતરીના કલાકોમાં અછતનું ચિત્ર બદલીને જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આ વરસાદી પાણી જળાશયો અને નદી વાટે દરિયામાં ઠલવાઇ રહ્યાં જેમાં જૂનાગઢ તથા અમરેલી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. આ વિરાટ જળરાશી પાલિતાણાના શેત્રુંજી ડેમમાં આવતા માત્ર બે જ દિવસનાં અંતે ડેમ ફરી એકવાર અવરફલો થતાં તંત્ર દ્વારા સોમવારે રાત્રે દસ કલાકે 10 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં, પરંતુ પાણીનો ફલો અવિરત વધતો જતો હોય આથી મંગળવારે સવારે 5 કલાકે ડેમના તમામ 59 દરવાજાઓ એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં. આ સિવાય ડાબા તથા જમણા કાંઠાની કેનાલોમા પણ પાણી છોડવામાં આવી રહ્યું છે.