Site icon Revoi.in

સુરતના બ્રિજ પર પલટી ગયેલું કન્ટેનર હટાવવું કેમ? ઉચ્ચ અધિકારીઓ પણ મુંઝાયા

Social Share

સુરતઃ  શહેરના ઇચ્છાપોર-ONGC બ્રીજ પર ત્રણ દિવસ પહેલા એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જે કન્ટેનર પલટી મારી ગયું હતું તેમાં 143 ટનનો સામાન હતો. આ કન્ટેનરના વજનના કારણે બ્રીજના પાયા પણ ડગી ગયા હતા. તેથી બ્રીજને પણ નુકશાન થવા પામ્યું છે. કન્ટેનરના કારણે બ્રીજને 50 લાખનું નુકશાન થયું હોવાનું અનુમાન છે. કન્ટેનરનું વજન વધારે હોવાથી બ્રીજને છેલ્લા ત્રણ દિવસથી બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પણ હજીરાની કંપનીઓને આ કન્ટેનરને હટાવી લેવા માટેની નોટીસ આપવામાં આવી છે. પણ કન્ટેનરને હટાવવામાં મુંજવણ છે કે, ભારે વજન વાળા કન્ટેનરને હટાવવા અંતે હેવી ક્રેઇન મગાવવી પડે તેમ છે. અને ક્રેઈનનો વજન બ્રીજ ખમી શકે તેમ નથી.

 

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં એક અકસ્માતની ઘટનાના કારણે એક બ્રીજ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે અને આ ઘટનાના કારણે બ્રીજના પાયા પણ ડગી ગયા છે. એક કન્ટેનર આ બ્રીજ પર પલટી માર્યું હતું અને તેના કારણે બ્રીજ છેલ્લા ત્રણ દિવસથી બંધ કરવામાં આવ્યો છે. હવે ચિંતાની વાત એ છે કે, આ કન્ટેનરનું વજન એટલું વધારે છે કે, તેને હટાવવા માટે હેવી વજનની ક્રેઇન મગાવવી પડે તેમ છે. પણ હવે બ્રીજ હેવી ક્રેનનું વજન ખમી શકે તેમ નથી. તેથી તંત્ર અને કંપની પણ મૂંઝવણમાં મુકાયા છે કે, આ કન્ટેનરને કેવી રીતે રસ્તા પરથી ખસેડવું.

મહત્ત્વની વાત છે કે તંત્ર દ્વારા પણ હજીરાની કંપનીઓને આ કન્ટેનર હટાવવા માટેની નોટીસ આપી છે. પણ હેવી ક્રેઇનનું વજન વધારે હોવાના કારણે તેને બ્રીજ પર તેને કઈ રીતે ઉભી રાખવી તેને લઇને મુશ્કેલી ઉભી થઈ રહી છે. આજે શુક્રવારના રોજ કન્ટેનરને કઈ રીતે હટાવવું તે અંગે એક મીટીંગ મળી હતી. આ બાબતે SVNITના નિષ્ણાતોનું કહેવું છે કે, કન્ટેનર હટી ગયા પછી બ્રીજને રીપેર કરવો પડશે. જેના કારણે બ્રીજ શરૂ થતા લાંબો સમય લાગી શકે છે. એટલે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બ્રીજ પરથી કન્ટેનર ખસેડ્યા પછી પણ બ્રીજ શરૂ થશે નહીં. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ કન્ટેનરને હટાવવા માટે મુંબઈથી વિશેષ ક્રેઇન મગાવવી પડશે.