- કોર્પોરેશન દ્વારા તૈયાર કરાઈ નવી પાર્કિંગ નીતિ
- વાણિજ્ય સંસ્થાઓમાં AMC પાર્કિગ ઝોન સ્લોટ ખરીદી શકશે
- ટેક્સી અને ઓટોરિક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ નહીં કરી શકે
અમદાવાદઃ સમગ્ર દેશમાં સૌથી વધારે ટુ-વ્હીલર અમદાવાદ શહેરમાં હોવાનું કહેવાય છે. બીજી તરફ અમદાવાદમાં વાહન પાર્કિંગની યોગ્ય સુવિધા નહીં અગાઉ અદાલતે પણ પાર્કિંગના મુદ્દે કોર્પોરેશનને જરૂરી નિર્દેશ કર્યાં હતા. દરમિયાન હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કીંગ નીતિઓ તૈયાર કરાઇ છે. આ નીતિ અન્વયે લોકોએ કાર ખરીદી કરતા પહેલા પાર્કિંગની જગ્યા બાબતે ખાતરી આપવાની રહેશે. એટલું જ નહીં રાત્રિના સમયે રોડની સાઈડમાં ફોર વ્હીલર પાર્કિંગનો ચાર્જ પણ ચુકવવાનો રહેશે. આ ઉપરાંત ટેક્સી અને ઓટોચાલકો નિર્ધારિત સ્ટેન્ડ પર જ ઉભા રાખી શકશે. જેમને રોડ પર પાર્કિંગ કરવાની અનુમતિ નહી મળે.
સુત્રોના જણાવ્યા અનુસાર ખાનગી મોટી ઇમારતો પાર્કિગ સ્થળોને નક્કી કરી શકે છે, જે પોતાની જગ્યાને અન્ય વાહનો માટે ઉધાર આપી શકે છે. આ ઉપરાંત હવેથી રોડ પર રાત્રિના સમયે પાર્કિંગ ચાર્જ આપવો પડશે, રહેઠાણ વિસ્તારોના રસ્તાઓ પર પાર્કિંગ ઝોન નક્કી કરાશે. વાણિજ્ય સંસ્થાઓમાં પાર્કિંગ માટે 40 ટકા કર્મચારીઓ માટે અને 60 ટકા સામાન્ય જનતા માટે રહેશે. વાણિજ્ય સંસ્થાઓમાં એએમસી પાર્કિગ ઝોન સ્લોટ ખરીદી શકે છે મેટ્રો રેલવે સ્ટેશનમાં જાહેર પરિવહનની જગ્યા પર પાર્કીંગ ફીની સુવિધા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પ્રજાને વાહન વ્યવહારની સુવિધા મળી રહે તે માટે મનપા દ્વારા એએમટીએસ, બીઆરટીએસ સેવા ચલાવવામાં આવે છે. તેમજ આગામી દિવસોમાં મેટ્રો સેવા પણ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રદુષણ ઘટાડવા માટે ઈ-વાહનો ઉપર પણ ભાર આપવામાં આવી રહ્યો છે.