Site icon Revoi.in

યોગ, નેચરોપથી, અને મેન્ટલ હેલ્થ સાયકોલોજીથી લોકોની સુખાકારીનું ચિંતન ઉપયોગી નિવડશેઃ CM

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે મહેસાણા શંકુઝ વોટર પાર્ક ની ડીવાઈન સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન કલીનિકલ રિસર્ચ ફોર રોલ ઓફ સાયકોલોજી ,યોગ એન્ડ નેચરોપથી ફોર વેલબીંગના સમાપન સમારોહમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં થયેલું ચિંતન, મનન અને મંથન અમૃત કાળમાં અમૃત સ્વાસ્થ્ય માટેનું પ્રેરક બળ પૂરું પાડશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વના નાગરિકોના કલ્યાણ માટે અને સૌના સ્વાસ્થ્ય અને સુખાકારીની સતત ચિંતા કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે સદીઓ જૂની પારંપરિક સ્વાસ્થ્ય ચિકિત્સા પદ્ધતિઓ યોગ, નેચરોપેથી ,વિશ્વમાં પુનઃ પ્રસ્થાપિત થાય  તે માટે 21 જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે  ઉજવવાનો પ્રધાનમંત્રીએ યુનાઇટેડ નેશનમાં પ્રસ્તાવ મૂક્યો જેને સમગ્ર વિશ્વએ સહર્ષ સ્વીકાર્યો છે.

મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી યોગ પ્રાણાયામ પ્રચલિત થયા છે, તેનાથી લોકોના માનસિક તણાવ ઓછા થવાની સાથે શરીર,મન અને ચેતનાને સંતુલિત રાખવા માટેનું માધ્યમ  યોગ દિવસ બન્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યોગ, નેચરોપેથી, મેન્ટલ હેલ્થ સાઇકોલોજી થકી માનવીના સ્વાસ્થય સંવર્ધન અને  સુખાકારી માટે યોજાયેલ કોન્ફરન્સ રાઈટ જોબ એટ રાઇટ ટાઇમ છે. તેમણે કહ્યું કે જી-20 ની સફળતાથી રાષ્ટ્રનું નામ સમગ્ર દુનિયામાં ગૌરવાન્વિત થયું છે. વસુધૈવ કુટુબક્મની ભાવનાથી આજે સમગ્ર વિશ્વ એક નેજા હેઠળ સ્વાસ્થ્ય માટે ચિંતિત બન્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સારા સ્વાસ્થ્ય માટે સારા ખોરાક ની જરૂર છે, ત્યારે દેશમાં પ્રધાનમંત્રીના માર્ગદર્શનથી હાથ ધરાઇ રહેલું પ્રાકૃતિક ખેતીનું અભિયાન સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે આગામી સમયમાં મહત્વનું કદમ સાબિત થવાનું છે.રાજ્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતી અભિયાનને  સરકાર આગળ ધપાવી રહી છે.તેમણે જણાવ્યું હતું કે રોગ ઉપચાર માટે ટ્રેડિશનલ મેડિસનના ઉપયોગ ને વ્યાપક ફલક  આપવા વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન નિર્માણ પામી રહ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથીઆજે સમગ્ર ભારતના નાગરિકો આંતરરાષ્ટ્રીય મિલીટ વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને વિશ્વ આખું જુની પૌષ્ટિક ખોરાક પ્રધ્ધતિને ધ્યાને લઇને બેક ટુ બેઝિક તરફ આગળ વધી રહ્યું છે.

આ પ્રસંગે કોન્ફરન્સના અધ્યક્ષ ચિરાગ અંધારીયાએ  જણાવ્યું હતું કે, શંકુજ નેચરોપેથી 18 વર્ષ પહેલા શરૂ થયેલ કુદરતી ઉપચારકેન્દ્રમાં 27 દેશોના 28 હજાર નાગરિકોએ લાભ લીધો છે. કોન્ફરન્સ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 275  ડેલિગેશન સાથે ત્રણ દિવસમાં 127 સંશોધનો થયા છે. કેન્સર માનસિક બીમારી સહિત અનેક બીમારીઓ પર ગહન ચર્ચા કરવામાં આવી છે. “માંદા જ ન પડાય” આ વિષય પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપી યોગ નેચરોપેથી અને સાયકોલોજીના ખ્યાલને લોકો સુધી પહોંચડવાની હિમાયત કોન્ફરન્સમાં કરાઇ  છે.

મહેસાણા જિલ્લાના શંકુઝ  નેચરલ હેલ્થ સેંટર ખાતે ત્રિદિવસીય કોન્ફરન્સ નું આયોજન ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું  હતું.

આ કોન્ફરન્સ પ્રવર્તમાન યુગમાં માનવ જાતની સ્વાસ્થ્ય સુખાકારી માટે અદ્યતન વૈજ્ઞાનિક  શોધ સંશોધન સાથે આપણી પારંપરિક  ચિકિત્સા પધ્ધતિઓ તેમજ સાયકોલોજી,યોગ અને નેચરોપથીના સંયોજન  માટે ના સામૂહિક વિચાર મંથન માટે યોજાઈ  હતી. મુખ્યમંત્રીશ્રી દ્વારા કોન્ફરન્સ માં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

Exit mobile version