Site icon Revoi.in

ગુજરાતમાં ધો.10 પછીના ડિપ્લોમાના ઈજનેરી અભ્યાસક્રમોમાં 32000 બેઠકો ખાલી રહેશે

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલ ધો.10ની પરીક્ષાના  જાહેર કરાયેલા પરિણામમાં એ-વન ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો  છે.  એટલે આ વખતે પણ ડિપ્લોમા ઈજનેરીની 40 ટકા બેઠકો ખાલી રહેવાની શકયતા છે.

ગુજરાતમાં ધો.10 પછીના ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોની બેઠકોમાં છેલ્લા એક દાયકા દરમિયાન વધારો થયો છે. છેલ્લા વર્ષોથી ડિપ્લામા ઈજનેરીમાં પ્રવેશને અંતે ઘણીબધી બેઠકો ખાલી રહે છે. આ વર્ષે ધો.10નું પરિણામ આવ્યા પહેલા જ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.  ડિગ્રી ઈજનેરીમાં હાલમાં 68 હજાર બેઠકો ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે જીટીયુ સાથે જોડાયેલી જીપેરીમાં પણ ડિપ્લોમા ઈજનેરી કોલેજ શરૂ થાય તેવી શકયતા છે. જેના કારણે અંદાજે 300 બેઠકોનો વધારો થશે.
આ જ રીતે અન્ય કોલેજ કે બ્રાન્ચમાં બેઠકો વધતાં કુલ 500 બેઠકોનો વધારો થતાં 68500 બેઠકો ઉપલબ્ધ થાય તેમ છે.  ગત વર્ષે ડિપ્લોમા ઈજનેરીમાં અંદાજે 30 હજાર બેઠકો ખાલી પડી હતી.

ડિપ્લોમા પ્રવેશ સમિતિના સૂત્રોના માનવા મુજબ ચાલુ વર્ષે પણ 30થી 32 હજાર બેઠકો ખાલી પડે તેવી શક્યતા છે, કારણ કે, રેન્કિંગ ધરાવતા વિદ્યાર્થીઓને ધો.11-12 કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. આ વર્ષે રેન્કિંગમાં પણ ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે. સી-1, સી-2 અને ડીમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. સામાન્ય રીતે એવરેજ વિદ્યાર્થીઓ ધો.10 પછી ડિપ્લોમા ઈજનેરી કરે તે હિતાવહ હોવા છતાં જાગૃતિના અભાવના કારણે વિદ્યાર્થીઓ ધો.11-12માં પ્રવેશ મેળવી લેતા હોય છે. ડિપ્લોમા ઈજનેરી પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ડિગ્રીમાં પ્રવેશ માટે બ્રાન્ચ બદલવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ હવે એક બ્રાન્ચમાં ડિપ્લોમા કર્યા બાદ અન્ય બ્રાન્ચમાં ડિગ્રી ઈજનેરી પણ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક, બે કે ત્રણ માર્કશીટ ધરાવતા વિદ્યાર્થીઓ પણ ડિપ્લોમ ઈજનેરીમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવે છે. આમ, પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ આપવામાં આવતો હોવાથી વધુ બેઠકો ભરાઈ તેવી શકયતા છે. ડિપ્લોમા ઈજનેરીમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે માટે સમિતિ દ્વારા છેલ્લા કેટલાય સમયથી માર્ગદર્શન કાર્યક્રમ સહિતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં ગત વર્ષે જેટલી જ 40 ટકા બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.