Site icon Revoi.in

અંબોડ અને ભાટ ટોલનાકા પાસે સાબરમતી નદીમાં ડૂબી જવાના બે બનાવોમાં 4નાં મોત

Social Share

અમદાવાદઃ ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ મીની પાવાગઢ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે જણાનું ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે બીજા બનાવમાં ભાટ ટોલટેક્સ નાકા પાસે નદીમાં નહાવા પડેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસ  અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ગાંધીનગર જિલ્લામાં ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. માણસા તાલુકાના ધોળાકુવા ગામના ત્રણ સગીર વયના મિત્રો પૈકી બેનાં મોત સાબરમતી નદીમાં ડૂબી જવાથી  નિપજ્યા હતા. સગીર વયના ત્રણ મિત્રો સુનીલ ઠાકોર, સુમીત ઠાકોર તેમજ અન્ય એક મિત્ર ધુળેટીના દિને  બાઈક ઉપર ત્રણ સવારી મીની પાવાગઢ મંદિરે દર્શનાર્થે ગયા હતા. બાદમાં ત્રણેય મિત્રો મંદિર પાસેના કાચા રસ્તાથી સાબરમતી નદી તરફ બાઈક લઈને ઉતર્યા હતા. જ્યાં નદીનાં કિનારે બાઈક ઊભુ રાખી ત્રણેય જણા નદીમાં નહાવા પડ્યા હતા.  દરમિયાન  ત્રણેય મિત્રો નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે અન્ય એક મિત્ર નદીના કિનારો નજીક હોવાથી તેને સ્થાનિક એક વ્યક્તિએ બહાર કાઢી લીધો હતો. જ્યારે સુનીલ તેમજ સુમીત નદીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતાં માણસા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્કયુ ઓપરેશન શરૂ કરી દીધું હતું અને કલાકોની મહેનત પછી માણસા ફાયર બ્રિગેડની  ટીમે સુનીલ ઠાકોરની લાશ બહાર કાઢી હતી. જોકે, સુમીતનો ક્યાંય પત્તો લાગ્યો હતો. આખરે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને રેસ્કયુની કામગીરી શરૂ કરી હતી. આ બનાવના પગલે ધોળાકુવા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

જ્યારે ડુબી જવાથી મોતના અન્ય એક બનાવમાં અમદાવાદથી સાતેક મિત્રોનું ગ્રુપ ધુળેટી પર્વ નિમિત્તે ગાંધીનગરની સહેલગાહે ગયુ હતુ.  ગાંધીનગરના જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સાતેય મિત્રો બપોરના સમયે ભાટ ટોલટેક્સ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડ્યા હતા. જે પૈકી હર્ષદ ચૌધરી (રહે. રિલીફ રોડ, મૂળ રહે. થરાદ)નો કાદવ કીચડનાં કારણે પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. જેને બચાવવા માટે હરેશ ચૌધરી (રહે. ચાંદખેડા, મૂળ રહે. થરાદ) બચાવવા લાગ્યો હતો. જો કે હર્ષદને બચાવવામાં હરેશ પણ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. જેનાં પગલે અન્ય મિત્રો પણ બંનેને બચાવવાનાં પ્રયાસો કરવા લાગ્યા હતા. પરંતુ પાંચેય મિત્રો પણ નદીમાં ડૂબવા લાગ્યા હતા. જોકે પાંચેય જણાએ નદીનાં ઝાડી ઝાંખરા પકડીને પોતાનો જીવ બચાવી લીધો હતો. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યું હતું. જે અન્વયે હર્ષદની લાશ મળી આવી હતી. બીજી તરફ ગાઢ અંધારું થઈ જતાં ફાયર બ્રિગેડને નદીમાં સર્ચ ઓપરેશન અટકાવી દેવું પડયું હતું. બાદમાં મોડી રાતે બહીયલનાં તરવૈયાની ટીમે નદીમાંથી હરેશની પણ લાશ બહાર કાઢી હતી.