Site icon Revoi.in

ગુજરાતના 207 જળાશયોમાં 55.95 ટકા પાણીનો સંગ્રહઃ 29 ડેમ છલકાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 55.95 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,75,087 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.41 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં સારા વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવક વધી છે, આ ઉપરાંત અનેક નદીઓ પણ ગાંડીતૂર બની છે.

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ, રાજ્યના 206 જળાશયોમાં 3.12 લાખ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 55.95 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં 29 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 42 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 30 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 44 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 61 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 29 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 17 જળાશયો  90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 12 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.