Site icon Revoi.in

રાજ્યની 62 નગરપાલિકાના માર્ગોનું રૂ. 97.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં નુકશાન થયેલા માર્ગોની તાત્કાલિક મરામત માટે રાજ્ય સરકારે રૂ. 97.50  કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના નગરોમાં વસતા નાગરિકોને હાલાકી ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાએ ચાલી શકે તેવા અભિગમથી સરકારે આ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ આવી 62 નગરપાલિકાઓના રોડ સમારકામ માટે સંબંધિત રિજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર હસ્તકની નગરપાલિકાઓને આ વધારાની ગ્રાન્ટ આપવાનો અભિગમ અપનાવ્યો છે. ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. તદઅનુસાર, અમદાવાદની 8 નગરપાલિકાઓને 8.86 કરોડ, વડોદરાની 12 નગરપાલિકાઓને રૂ. 10 કરોડ, સુરતની 10 નગરપાલિકાઓ માટે 16.30 કરોડ, રાજકોટ આર.સી.એમ હસ્તકની 15 નગરપાલિકાઓ માટે 45.39 કરોડ, ભાવનગરની 13 નગરપાલિકાઓને 15.01 કરોડ તેમજ ગાંધીનગરની 4 નગરપાલિકાઓને રૂ. 1.86 કરોડની ગ્રાન્ટ ફાળવવા અનુમતિ આપી છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકારે ચોમાસા દરમિયાન નગરોના માર્ગોને થયેલા નુકશાનની તત્કાલ મરામત માટે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં 156 નગરપાલિકાઓને કુલ 99.60  કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. હવે નગરપાલિકાઓમાં રસ્તાઓને થયેલા ખરેખર નુકશાનની વિગતો મેળવીને 62 નગરપાલિકાઓ માટે વધારાની કુલ 97.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ભૂપેન્દ્ર પટેલે મંજૂરી કરી છે.