Site icon Revoi.in

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અંગે 15મી મેએ નિર્ણય લેવાશેઃ એ ગૃપ કરતા બી ગૃપના વિદ્યાર્થીઓ વધુ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. ગત વર્ષે ધો. 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં 1.43 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે આ વર્ષે 1.41 લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. કોરોનાને લીધે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મોકુફ રાખ્યા બાદ આગામી તા. 15મી મેના રોજ મળનારી બોઠકમાં પરીક્ષા ક્યારે લેવાશે તેનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધો.12 સાયન્સની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1.41 લાખ વિદ્યાર્થી નોંધાયા હોવાનું જાણવા મળે છે. સાયન્સમાં વિદ્યાર્થીની સંખ્યામાં સામાન્ય ઘટ જોવા મળી છે. ગતવર્ષે બોર્ડની પરીક્ષા માટે 1.43 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. આ વખતે પણ દર વર્ષની જેમ બી ગ્રૂપ લેનારા વિદ્યાર્થીની સંખ્યા વધુ હોવાનું જાણવા મળે છે. આમ, સાયન્સમાં દર વર્ષની જેમ આ વખતે પણ સરેરાશ 1.40 લાખ આસપાસ વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે ચાર મહિના પહેલા જ તૈયારીઓ બોર્ડ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી.

ઓનલાઈન ફોર્મ ભરવા સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્યમાં કોરોનાના પગલે બોર્ડની પરીક્ષા સરકાર દ્વારા હાલ પૂરતી મુલતવી રાખી 15 મેના રોજ રાજ્યમાં કોરોનાની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. છેલ્લા સપ્તાહથી જે રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે તેને જોતા જૂન માસમાં બોર્ડની પરીક્ષા માટે સરકાર દ્વારા નિર્ણય લેવાઈ શકે છે. દરમિયાન આ વખતે બોર્ડની પરીક્ષામાં ધો.12 સાયન્સ માટે સમગ્ર રાજ્યમાંથી 1.41 લાખ વિદ્યાર્થી નોંધાયા હોવાનું જાણવા મળે છે. જેમાં બી ગ્રૂપમાં દર વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થીની સંખ્યા વધુ હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાં વર્ષો પહેલા એન્જિનિયરિંગ વિદ્યાર્થીની પહેલી પસંદગી હતી અને તેથી જ વિદ્યાર્થી એ ગ્રૂપ પર પસંદગી ઉતારતા હતા. પરંતુ હવે ધીમધીમે ટ્રેન્ડ બદલાયો છે અને એ ગ્રૂપ કરતા બી ગ્રૂપ લેનારા વિદ્યાર્થીની સંખ્યા દર વર્ષે વધી રહી હોવાનું જાણવા મળે છે. આ વખતે સાયન્સમાં એ ગ્રૂપમાં 54 હજાર  વિદ્યાર્થી નોંધાયા છે. જ્યારે બી ગ્રૂપમાં 87 હજાર  વિદ્યાર્થી નોંધાયા છે. રાજ્યમાં ગતવર્ષની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીની સંખ્યામાં 2 હજાર જેટલો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

ગત વર્ષની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાંથી ધો.12 સાયન્સની પરીક્ષા માટે 143278 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા વખતે 142117 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. આ વિદ્યાર્થી પૈકી નિયમિત વિદ્યાર્થી 116643 નોંધાયા હતા અને તે પૈકી પરીક્ષામાં 116494 ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેમાંથી 83111 નિયમિત વિદ્યાર્થી પાસ થયા હતા. આમ, નિયમિત વિદ્યાર્થીનું પરિણામ 71.34 ટકા આવ્યું હતું. ગત વર્ષે નિયમિત વિદ્યાર્થીમાં એ ગ્રૂપના 43480, બી ગ્રૂપના 73178 અને એબી ગ્રૂપના 25 વિદ્યાર્થી હતા.