Site icon Revoi.in

જૂની પેન્શન યોજના ચાલુ નહીં કરાતા રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ગાંધીનગરમાં ધરણાં યોજાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટે ઘણા સમયથી માગણી કરી રહ્યા છે. જેમાં રાજ્યના શિક્ષકોએ પણ વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા સાથે જુની પેન્શન યોજના શરૂ કરવાની માગણી કરી છે. અગાઉ પણ રાજ્ય સરકારને રજુઆત કરી હતી, પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યુ નથી. આથી  રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંવર્ગ, ઉચ્ચ શિક્ષા સંવર્ગ (અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) ભારતીય મજદૂર સંઘ ગુજરાત, જી.ઈ.બી ઍમ્પ્લોયર્સ વેલફેર એસોસિએશન ગુજરાત, સ્ટેટ ટ્રાવેલ્સ ગુજરાત (ભારતીય મજદૂર સંઘ), ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન્સ એન્ડ પૅન્શનર્સ એસોસિએશન (ભારતીય મજદૂર સંઘ) તથા અન્ય સંગઠનો દ્વારા આગામી તા. 6ઠ્ઠી મેના રોજ  ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે ઘરણાં યોજાશે.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સંયોજક ભીખાભાઇ પટેલના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા, નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ પે, HTAT ઓ.પી. થયેલા મુખ્ય શિક્ષકોના પ્રશ્ન,સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના પાંચ વર્ષની સળંગ નોકરી ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બદલીનો લાભ આપવા, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પગાર પંચના બાકી ત્રણ હપ્તા, કેન્દ્રના ધોરણે જાન્યુઆરી 2022થી ત્રણ ટકા મોંઘવારી તથા કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચ મુજબ ઘરભાડુ, અન્ય ભથ્થા જાહેર કરવા આગામી 6 મેના રોજ બપોરે 3થી 6 દરમિયાન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરાશે. જેમાં  50,000થી વધુ સંખ્યામાં કર્મચારીઓ જોડાશે.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચામાં જોડાયેલા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંવર્ગ, ઉચ્ચ શિક્ષા સંવર્ગ (અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) ભારતીય મજદૂર સંઘ ગુજરાત, જી.ઈ.બી ઍમ્પ્લોયર્સ વેલફેર એસોસિએશન ગુજરાત, સ્ટેટ ટ્રાવેલ્સ ગુજરાત (ભારતીય મજદૂર સંઘ), ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન્સ એન્ડ પૅન્શનર્સ એસોસિએશન (ભારતીય મજદૂર સંઘ) તથા અન્ય સંગઠનો પણ ઘરણાના કાર્યક્રમમાં જોડાશે.

સંયુક્ત રાષ્ટ્રીય મોરચાની યાદીમાં જણાવાયું છે કે,  અગાઉ 8મી એપ્રિલના રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા મથકે રેલી, ધરણા તથા આવેદનપત્ર આપવાનો પ્રથમ તબક્કાનો આંદોલનાત્મક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખથી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાયા હતા. સરકાર દ્વારા આ અંગે યોગ્ય પ્રતિસાદ ન મળતાં હવે ગાંધીનગર ખાતે ધરણા યોજાશે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા બાબતે રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરી ચુકયો છે.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા યોજિત 6 મેના ધરણાંને સફળ બનાવવા પ્રાંત સંગઠન, જિલ્લા એકમ, તાલુકા એકમ, મંડળ એકમ તથા જૂથ શાળાઓ સુધી ઑનલાઇન ઑફલાઇન બેઠકો કરી સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અન્વયે મોટી સંખ્યામાં શિક્ષક કર્મચારીઓ આ ધરણામાં જોડાશે.