Site icon Revoi.in

ગાંધીનગરમાં ગિફ્ટસિટી નજીક સાબરમતી નદી પર કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવાશે

Social Share

ગાંધીનગરઃ અમદાવાદમાં સાબરમતી નદી પર રિવરફ્રન્ટને મળેલી સફળતા બાદ રાજકોટ, સુરત સહિતના શહેરોમાં નદીકાંઠે રિવરફન્ટ બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ સાહરમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની નાણા મંત્રીએ બજેટની સ્પીચમાં જાહેરાત કરી હતી. ગાંધીનગરના ગિફ્ટસિટી નજીક રિવરફ્રન્ટ બાંધવા માટે 150 કરોડ નાણાની જોગવાઈ કરી છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ  જળસંપતિ વિભાગની ચર્ચા દરમિયાન ગાંધીનગર રિવરફ્રન્ટની જાહેરાત કરી હતી. એટલે કે જો બધુ બરાબર રહ્યું તો હવે ગાંધીનગરના નાગરિકોને રિવરફ્રન્ટનો આનંદ માણવા માટે અમદાવાદ સુધી લાંબુ નહીં થવું પડે. ગાંધીનગરમાં પીડીપીયુ કેબલબ્રીજથી અને શાહપુર બ્રીજ સુધી રિવરફ્રન્ટ બને તેમ છે. જેમાં રાયસણ, રાંદેસણ, ધોળેશ્વર મહાદેવ મંદિર સહિતનો વિસ્તાર આવી જશે. રિવરફ્રન્ટમાં ઉંચી દિવાલો, નદીની બંને બાજુ ચાર ઘાટ તથા ગિફ્ટ સિટી જવા માટે પાંચ જેટલા પોઇન્ટ ઉભા કરાય તેમ છે. જેમાં પ્રથમ તબક્કા માટે 350 કરોડ જેટલા ખર્ચનો અંદાજ લગાવાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ રિવરફ્રન્ટ ફેઝ-2 માટે ગાંધીનગરને અડીને છેક ઈન્દિરા બ્રીજ સુધી કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે આગામી સમયે ગિફ્ટ સિટી પાસે રિવરફ્રન્ટની બનતા ગાંધીનગરના નાગરિકોને નવી સુવિધા મળશે. ગિફ્ટસિટી પાસે રિવરફ્રન્ટની જાહેરાત સાથે હાલ મેટ્રોની પણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેને પગલે અહીં સમગ્ર વિસ્તારમાં આગામી સમયે ગિફ્ટસિટી, રિવરફ્રન્ટ અને મેટ્રોનો ત્રિવેણી સંગમ થશે તે નક્કી છે. જેથી નાગરિકોની સુવિધામાં વધારો થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં પણ કેવડિયા જેવો યુનિટી મોલ બનાવવામાં આવશે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના હેઠળ દરેક જિલ્લાની ખાસ ઉત્પાદિક વસ્તુઓને આંતરાષ્ટ્રીય ઓળખ ઉભી કરવા વડાપ્રધાને આહવાન કરેલું છે. પાટણના પટોળા, જામનગરની બાંધણી, કચ્છના ભરતકામને જી. આઈ. ટેગ મળેલું છે. કેવડિયા ખાતે દેશની વિવિધ રાજ્યોના ઉત્પાદનો અને હસ્તકલા ઉત્પાદનોના પ્રમોશન તથા વેચાણ માટે યુનિટીમોલ સ્થાપવામાં આવ્યો છે. આજ પેટર્ન પર ગાંધીનગર ખાતે પણ યુનિટી મોલ બનાવાની જાહેરાત સરકારે બજેટમાં કરી છે. સરકારે બજેટમાં રાજ્યના 8 સ્થળોએ રિજીયોનલ સાયન્સ સેન્ટર અને બાકીના જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપવાની જાહેરાત કરી છે. એટલે ગાંધીનગરને એક સાયન્સ સેન્ટર મળશે. આ ઉપરાંત મહાનગરપાલિકાઓમાં આઈકોનિક બ્રીજ બનાવવા માટે 400 કરોડના આયોજન સામે બજેટમાં 100 કરોડની જોગવાઈ કરાઈ છે. મહાનગરપાલિકાઓમાં નેચરપાર્કના આયોજન માટે 80 કરોડની જોગવાઈ કરાઈ છે, એટલે તેનો લાભ ગાંધીનગરને થશે.