Site icon Revoi.in

ગુજરાતના હવે કુલ 29 શહેરોમાં રાત્રિ કરફ્યુઃ SOPનું ચુસ્ત પાલન કરવું પડશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. હાલ લોકડાઉનની જરૂર છે, ત્યારે સરકાર લોકડાઉન લાદવાના પક્ષમાં નથી. પણ કોરોનાની ગાઈડ લાઈનનું સખતથી પાલન થાય તે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. દરમિયાન સરકારે આઠ મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે, જેમાં વધારો કરીને બીજા નવ શહેરોનો ઉમેરો કર્યો છે એટલે હવે કુલ 29 શહેરોમાં રાત્રિના આઠ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે.

ગુજરાત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા હતો. અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો, તે 20 શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે. આ ઉપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત કરી હતી. આ નિયંત્રણ તા. 28મી એપ્રિલ-2021 બુધવારથી તા. 05મી મે-2021 બુધવાર સુધી અમલી રહેશે. આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. ઉપરાંત તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે. તમામ 29 શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.