અમદાવાદઃ શહેર નજીક સાંતેજમાં બાળકીનું અપહરમ કર્યાં પછી દુષ્કર્મ આચરીને હત્યા કરવાના ચકચારી બનાવમાં આજે ગાંધીનગર કોર્ટે સુનાવણીના અંતે ચુકાદો જાહેર કર્યો હતો. પોલીસે સમગ્ર કેસની તપાસ કરીને માત્ર આઠ જ દિવસમાં આરોપી વિજય ઠાકોર સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસની સુનાવણીના અંતે ગાંધીનગર પોક્સો કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફરમાવી છે. એટલે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાનું રહેશે. આ ઉપરાંત તેને દંડ પણ ફટકાર્યો છે. જવલેજ બનતી ઘટનામાં આ કેસને ગણાવીને કોર્ટે આરોપીને સજા ફરમાવી છે. કોર્ટે આરોપી વિજય ઠાકોરને સજાની સાથે રૂ. 18 હજારનો દંડ ફટકાર્યો છે.
આ કેસની સુનાવણીમાં સરકારી વકીલે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા. તેમજ રજૂઆત કરી હતી કે, ગુનેગારે પુરાવાનો નાશ કર્યો છે. સમાજમાં દાખલો બેસે તેવી આરોપીને સજા ફટકારવી જોઈએ. સરકારી વકીલે આરોપીને મોતની સજા ફરમાવવા માટે રજૂઆત કરી હતી. બીજી તરફ બચાવ પક્ષના વકીલે પોતાની રજૂઆત કરી કે, સમગ્ર કેસમાં કોઈ સાક્ષી નથી. અદાલતે બંને પક્ષની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે આ કેસમાં આરોપીને સજાનો ચુકાદો આપ્યો હતો. આમ એક મહિનાની અંદર જ પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. આરોપીના વકીલે રાહત આપવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
કોર્ટે સજાનો ચુકાદો સંભલાવતા નોંધ્યું હતું કે, આરોપી વિકૃત માનસ ધરાવે છે. જેની ઉપર રહેમ રાખી ના શકાય. એટલું જ નહીં આરોપી પણ એક દીકરીનો પિતા છે. ત્યારે અન્યની દીકરા સાથે આવુ કૃત્ય આચરતા શરમ આવવી જોઈએ.