Site icon Revoi.in

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ “પહલા કદમ સ્કૂલ” ની મુલાકાત લીધી, દિવ્યાંગ બાળકો માટે નયી ઉડાન કાફેનું ઉદ્ઘાટન

Social Share

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મંગળવારે ધનબાદ સ્થિત નારાયણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘પહેલા કદમ’ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગ બાળકો સાથે વાતચીત કરી બાળકોનું મનોબળ વધાર્યુ એટલું જ નહીં તેમણે બાળકોને આત્મનિર્ભરતા તરફનો નવો માર્ગ પણ બતાવ્યો. મંગળવાર (9 ડિસેમ્બર) ના રોજ ગૌતમ અદાણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન પણ કર્યું હતું.

‘પહેલા કદમ’ સ્કૂલની મુલાકાત પ્રસંગે ગૌતમ અદાણીએ દિવ્યાંગ બાળકો માટે ખાસ વિકસિત કાફે “નયી ઉડાન કાફે” નું ઉદ્ઘાટન કર્યું. આ કાફેનો ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને ખાણી-પીણી સંબંધિત વ્યાવસાયિક તાલીમ આપવાનો છે, જેનાથી તેઓ આત્મનિર્ભર બની શકે અને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.

“નયી ઉડાન કાફે” દિવ્યાંગ બાળકોને કાફે મેનેજમેન્ટ, રસોઈ, સેવા અને અન્ય સંબંધિત કુશળતા શીખવા માટે તાલીમ આપશે. આ કાર્યક્રમ બાળકોને રોજગારની તકો પૂરી પાડશે અને તેમનો આત્મવિશ્વાસ વધારશે. ગૌતમ અદાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, “આપણા સમાજનો દરેક વ્યક્તિ સમાન તકો મેળવાનો હકદાર છે, અને આપણે તે સુનિશ્ચિત કરવા ભરસક પ્રયાસ કરવો જોઈએ. વિકલાંગ બાળકોને તેમની ક્ષમતા અનુસાર તકો મળે તે ખુબ જરૂરી છે. ‘નઈ ઉડાન કાફે’ એક એવું પગલું છે જે દિવ્યાંગોને વ્યાવસાયિક કૌશલ્ય માત્ર શીખવશે જ નહીં પરંતુ સમાજમાં સમાન દરજ્જો પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે.”

ગૌતમ અદાણીએ વિકલાંગ બાળકો સાથે વાતચીત દરમિયાન તેમની લાગણીઓને ખૂબ જ નિષ્ઠાપૂર્વક સાંભળી. બાળકોએ તેમના અનુભવો અને આકાંક્ષાઓ શેર કરી, અને ગૌતમ અદાણીને ધ્યાનપૂર્વક સાંભળતા જોઈ તેમને એવું લાગ્યું કે કોઈ તેમને સમજે છે. જેનાથી તેમનામાં અપાર આનંદ અને આત્મવિશ્વાસ જાગ્યો. અદાણીએ બાળકોને મળતી સારવાર અને તેમના વિકાસમાં પણ ઊંડાણપૂર્વક જાણકારી લીધી. તેમણે નિષ્ણાતોને દિવ્યાંગોને શ્રેષ્ઠ શક્ય સહાય મળે તે માટે જણાવ્યું તેમજ દિવ્યાંગોના જીવનને સુધારવાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવી.

પહલા કદમ સ્કૂલ ખાતેના કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, બાળકો અને તેમના માતાપિતા ઉપરાંત અદાણી ગ્રુપના અધિકારીઓ અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમે ફરી એકવાર સમાજમાં પરિવર્તન લાવવા માટે સાથે મળીને કામ કરવાનું મહત્વ દર્શાવ્યું. “નયી ઉડાન કાફે” નું ઉદ્ઘાટન વિકલાંગ બાળકોના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે અને તેમની આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

નારાયણી ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલ વિકલાંગ બાળકોને સશક્ત બનાવશે અને સમાજમાં તેમનું વર્ચસ્વ વધારવામાં મદદ કરશે. આ પહેલ એ સંદેશ પણ આપે છે કે જ્યારે સમાજના તમામ વર્ગોને સમાન તકો પૂરી પાડવામાં આવે ત્યારે સાચું પરિવર્તન આવે છે.

Exit mobile version