Site icon Revoi.in

અફઘાનિસ્તાન સંકટઃ PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ વાતચીત

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ ત્યાંની પરિસ્થિતિ વિકટ બની રહી છે. વિવિધ દેશની સરકારો અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગિરકોને સહી-સલામત બહાર કાઢવાની કવાયત કરી રહી છે. ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની અફઘાનની સ્થિતિ ઉપર સતત નજર છે અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઈને વિદેશ મંત્રાલય દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અફઘાનની પરિસ્થિતિને લઈને લંબાણપૂર્વકની ચર્ચા થઈ હતી. બંને તેનાઓ વચ્ચે 45 મિનિટ સુધી વાતચીત થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કર્યા પહેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે ફોન ઉપર અફઘાનિસ્તાનની સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમઓના જણાવ્યા અનુસાર બંને નેતાઓએ માન્યુ કે, અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને પરત લાવવાની સૌથી મહત્વની પ્રાથમિકતા છે. તેઓએ દ્વિપક્ષિય મુદ્દે પણ ચર્ચા કરી જેમા કોવિડ-19 રસીમાં સહયોગ, આબોહવા અને ઉર્જા પર ધ્યાન આપવાની સાથે સાથે વિકાસ સહયોગ, વેપાર અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવાનું સામેલ છે.

મોદીએ ટ્વિટ કર્યું, ચાન્સેલર મર્કેલ સાથે વાત કરી અને દ્વિપક્ષીય, બહુપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ તેમજ અફઘાનિસ્તાનમાં તાજેતરના ઘટનાક્રમ અંગે ચર્ચા કરી. ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. તેમણે શાંતિ અને સલામતી જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં સૌથી તાકીદની પ્રાથમિકતા ફસાયેલા લોકોને સ્વદેશ પરત લાવવા છે.