Site icon Revoi.in

મોંઘવારી, શાકભાજી-દૂધના ભાવ બાદ હવે તહેવારોના આગમન પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો

Social Share

રાજકોટ : મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે. જેમાં જીવન જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓમાં પણ જીએસટીના દરમાં વધારો થતાં હજુ પણ મોંધવારી વધવાની શક્યતા છે. શાક-ભાજીના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો તઈ રહ્યો છે. સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવુ જ થયું. સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.

ગુજરાતમાં મોંઘવારીએ માઝા મુકી છે. જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અને તેથી ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું અનેરૂ મહાત્મ્ય છે. ઘરે ઘરે લોકો તેલમાં વાનગીઓ બનાવતા હોય છે. ત્યારે તેલના ભાવમાં પણ વધારો થયો છે. સિંગતેલના ડબ્બો ફરીવાર રૂપિયા 2800 ની સપાટીએ પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 10 નો ભાવ વધારો નોંધાયો છે. આ ભાવ વધારાથી સિંગતેલનો ડબ્બો 2810 રૂપિયા પહોંચ્યો છે. કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાના વધારા સાથે ડબ્બાનો ભાવ 2510 થયો છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.

અત્રે મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.  ઈન્ડોનેશિયાથી મોટા પ્રમાણમાં પામતેલની આયાતને લઈને પામતેલનો ડબ્બો 1920 રૂપિયાએ પહોંચ્યો છે. જોકે, માત્ર પામોલિન તેલના ભાવમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પામતેલના ભાવમાં 500 થી 600 રૂપિયાનું ઘટાડો થયો છે.