Site icon Revoi.in

અમદાવાદઃ ફાયર સેફ્ટીના મુદ્દે 37 સ્કૂલોને બંધ કરવા અપાઈ નોટિસ

Social Share

અમદાવાદઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 દર્દીઓના મોતની ઘટના બાદ કોર્ટે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેથી ફાયર સેફ્ટીને લઈને અમદાવાદનું મનપા તંત્ર વધુ એક્ટિવ થયું છે. દરમિયાન શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 37 સ્કૂલોને ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે. ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને નોટિસ આપી હતી. તેમ છતાં પણ તેમના દ્વારા ફાયર એનઓસી મેળવવામાં ન આવતાં આખરે ફાયરબ્રિગેડે તેમના બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા માટે આખરી હુકમ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન ધરાવતાં અનેક એકમો સામે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. કોર્પોરેશને આ પૂર્વે પણ બીયુ પરમિશન વગરની હોસ્પિટલો પર કાર્યવાહી કરી હતી. ફાયર સેફ્ટી તેમજ બીયુ પરમિશન ન હોય તેવી 42 હોસ્પિટલોની માન્યતા રદ કરવામાં આવી છે અને સાત દિવસમાં જ હોસ્પિટલ ખાલી કરવા મનપાએ આદેશ આપ્યો હતો. સાત દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી હોસ્પિટલ ખાલી કરવાની રહેશે અને કોર્પોરેશનને આ અંગે જાણ કરવાની રહેશે. મહત્વનું છે કે, આ હોસ્પિટલોને અપાયેલું ફોર્મ-C રદ કરવામાં આવ્યું છે.

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 161 એકમોને પત્ર લખીને ફાયર NOC કરવા જાણ કરી હતી. ફાયર NOC રિન્યૂ કરવાની તારીખ નજીક આવતા આ એકમોને જાણ કરાઇ હતી. જો આ એકમો NOC રિન્યૂ કરવાનું ભૂલી જાય તો તેના વપરાશકર્તા કે કબ્જેદારને હાલાકી પડતી હોય છે. જેથી કોઇ હાલાકી ન પડે તે માટે અગાઉથી ફાયર વિભાગ દ્વારા જાણ કરાઇ હતી.