Site icon Revoi.in

ગુજરાતમાં વર્ષ 2025 સુધીમાં અંધત્વ દર ઘટાડી 0.25 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યઃ CM ભુપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોતિયા-અંધત્વમુકત ગુજરાત ઝૂંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં આગામી વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને 0.25 ટકા સુધી લઇ જવાનો ધ્યેય દર્શાવ્યો છે. રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં 2014માં થયેલા સર્વે મુજબ અંધત્વનો જે દર 0.7 ટકા હતો તે ઘટીને 2018-19માં 0.36 ટકા થયો છે.

મુખ્યમંત્રીએ મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથારની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આંખની તથા મોતીયાવિંદની તપાસ કરાવવા આવેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી આંખના તબીબો દ્વારા થઈ રહેલી સારવાર તપાસ પણ નિહાળી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મોતિયાની અસર સામાન્ય રીતે પ૦ વર્ષ પછીની ઉંમરે થતી હોય છે. આની સારવાર સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ મુકાવીને કરાવી શકાય છે.

ગુજરાતમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. મુખ્યમંત્રીએ પ્રતિ 10 લાખની વસ્તીએ 1000થી વધુ મોતિયા ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ 10 થી 50 હજાર રૂપિયા જેટલો થાય તેવી ફેકો ઇમલ્સીફિકેશન દ્વારા નેત્રમણિવાળા ઓપરેશન ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. એટલું જ નહિ, સમગ્ર દેશમાં હાઇડ્રોફોબીક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ વિનામૂલ્યે પુરૂં પાડનારૂં એકમાત્ર રાજ્ય ગુજરાત છે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં બેય આંખે મોતિયાના કારણે અંધ હોય એટલે કે જેમની દ્રષ્ટિ બંને આંખે 3 મીટર કરતાં પણ ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશ અન્વયે સરકારી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન હાથ ધર્યુ છે.