મુંબઈ, 13 મે 2026: બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને પોતાની લાંબી કરિયરમાં અનેક યાદગાર ફિલ્મો આપી છે, પરંતુ હાલમાં જ તેની સાથે એક એવી ઘટના બની જેણે તેને ભાવુક કરી દીધો હતો. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિષેકે જણાવ્યું કે, લોકો હવે તેને તેના અસલી નામને બદલે તેના ફિલ્મી પાત્રના નામથી ઓળખવા લાગ્યા છે.
એક વાતચીતમાં અભિષેકે એક કિસ્સો શેર કરતા કહ્યું, “થોડા દિવસો પહેલા હું ટ્રાફિક સિગ્નલ પર ઉભો હતો, ત્યારે કોઈએ મને જોરથી ‘શંભુ રાજે’ કહીને બોલાવ્યો. મારા જીવનમાં આવું પહેલીવાર બન્યું છે કે કોઈએ મને પાત્રના નામથી બોલાવ્યો હોય. આ ઘટના સાબિત કરે છે કે આ પાત્ર લોકોના દિલની કેટલું નજીક છે અને તેનાથી અમારી જવાબદારી પણ વધી જાય છે.”
અભિષેક બચ્ચન આગામી ફિલ્મ ‘રાજા શિવાજી’માં શંભુ રાજેનું પાત્ર ભજવી રહ્યો છે. આ પાત્ર વિશે વાત કરતા તેણે કહ્યું, “મને ખ્યાલ જ નહોતો કે છત્રપતિ શિવાજી મહારાજના કોઈ મોટા ભાઈ પણ હતા. આ ફિલ્મમાં તે સમયની રાજનીતિ અને બંને ભાઈઓ વચ્ચેના અતૂટ સંબંધોને ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું નિર્દેશન રિતેશ દેશમુખે કર્યું છે અને તે પોતે ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં છે. અભિષેક અને રિતેશ વચ્ચે ગાઢ મિત્રતા છે અને રિતેશે જ અભિષેકને આ શક્તિશાળી પાત્રની ઓફર કરી હતી.
‘રાજા શિવાજી’ બાદ અભિષેક બચ્ચન બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના અવસરે રિલીઝ થવાની શક્યતા છે. આ ફિલ્મમાં શાહરૂખની પુત્રી સુહાના ખાન અને દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

