Site icon Revoi.in

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, શિખર ધવનને બનાવાયા કેપ્ટન

Social Share

દિલ્હી : જુલાઇમાં શ્રીલંકા સામેની વનડે અને ટી 20 સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમે જાહેરાત કરી છે. આ ટીમમાં શિખર ધવનને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. એક યુવા સ્કોડ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે અને ઘણા નવા ખેલાડીઓને તકો મળી છે.

આ ટીમમાં ઘણા યુવા અને નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે. દેવદત્ત પડિકલથી માંડીને ઋતુરાજ ગાયકવાડ સુધી, આવા ઘણા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટીમમાં બેટિંગની જવાબદારી શિખર, પૃથ્વી શો, દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, મનીષ પાંડે, સંજુ સેમસનના ખભા પર રહેશે. તે જ સમયે, બોલિંગની જવાબદારી ભુવનેશ્વર કુમારની સાથે કુલદીપ યાદવ, ચેતમ સાકરીયા, નવદીપ સૈની, દિપક ચહર, વરૂણ ચક્રવર્તી અને યુઝવેન્દ્ર ચહલ પર છે.

ભારતીય ટીમ એક સાથે બે સિરીઝ રમવાની છે. એક તરફ વિરાટની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની તૈયારી ચાલી રહી છે, તો બીજી તરફ શિખરના નેતૃત્વમાં શ્રીલંકા પ્રવાસ રમાઈ રહ્યો છે. આ એવી ઘટના છે જે પહેલીવાર બનતી હોય તેવું લાગે છે.