Site icon Revoi.in

રાજસ્થાનઃ ભજનલાલ શર્માના શપથવિધી સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત રહ્યાં હાજર

Social Share

જયપુરઃ રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના શપથવિધી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ,  વિવિધ રાજ્યોના ભાજપના મુખ્યમંત્રીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ગહેલોત પણ શપથવિધી સમારોહમાં પહોંચ્યાં હતા. જેથી શપથવિધી સમારોહમાં ઉપસ્થિત મહેમાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બીજી તરફ તરેહ-તરેહની રાજકીય અટકળો વહેતી થઈ હતી. શપથવિધી સમારોહમાં પહોંચેલા અશોક ગહેલોતનો ભાજપના નેતાઓ સાથે વાતો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અશોક ગહેલોતે નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માને સોશિયલ મીડિયા ઉપર પણ શુભકામનાઓ પાઠવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતા ભજનલાલ શર્મા મુખ્યમંત્રીના શપથ લેતા પહેલા મંદિર ગયા હતા અને ભગવાન સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, સંતો અને ગુરુના આર્શિવાદ લીધા છે. તેમજ રાજસ્થાનની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી તમામ ગેરંટીઓ રાજસ્થાનમાં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત ભજનલાલ શર્માએ માતા-પિતાના પગ ધોઈને તેમના આશીર્વાદ લીધા હતા. ભજનલાલ પ્રથમવાર ધારાસભ્ય બન્યાં છે. આજે ભજનલાલ શર્માનો જન્મ દિવસ પણ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ, મહારાષ્ટ્રીના સીએમ એકનાથ શિંદે અને ગોવાના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો શપથવિધિમાં હાજરી આપવા માટે રાજસ્થાન પહોંચ્યાં હતા. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શપથવિધી સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. રાજકીય મહાનુભવો ઉપરાંત મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે નવા મુખ્યમંત્રીને આર્શિવાદ આપ્યા હતા.