નવી દિલ્હી, 21 જુલાઈ 2026: યુક્રેનના ઓડેસા બંદર પરથી રવાના થયેલા કોમર્શિયલ કાર્ગો જહાજ ‘એમવી ગોલ્ડન લિયો’ પર થયેલા ભયાનક હુમલામાં 4 ભારતીય નાગરિકોના મોત નિપજ્યા છે, જ્યારે 1 ભારતીય ગંભીર રીતે ઘવાયો છે. આ કરૂણ ઘટના અંગે ભારતે અત્યંત સખત વિરોધ નોંધાવ્યો છે અને વ્યાપારી જહાજોને નિશાન બનાવવાની પ્રવૃત્તિને આકરા શબ્દોમાં નકારી કાઢી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે મુક્ત દરિયાઈ મુસાફરી અને વેપારમાં અવરોધ ઊભો કરતા આવા હુમલાઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 19 July 2026 ની સાંજે જ્યારે આ જહાજ પર હુમલો થયો ત્યારે તેમાં કુલ 17 સભ્યોની ક્રૂ ટીમ સવાર હતી, જેમાં 5 ભારતીય નાગરિકો સામેલ હતા. આ ભયાનક દુર્ઘટનામાં 4 ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ગંભીર રીતે ઘવાયેલા અન્ય 1 ભારતીય નાગરિકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પીડિત પરિવારજનોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
ભારત સરકારે મૃતકોના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના પ્રગટ કરી છે અને ઘવાયેલા ભારતીય નાગરિક ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. ભારતે પોતાના સત્તાવાર નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું છે કે નિરપરાધ નાગરિક ક્રૂના સભ્યોના જીવ જોખમમાં મૂકવા અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં મુક્ત નૌકાપરિવહનને બાધિત કરવું એ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન છે. સરકારે વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વાણિજ્યિક જહાજો પરના હુમલાઓ તાત્કાલિક બંધ કરવા માંગ કરી છે.
-
યુક્રેને આ હુમલા માટે સીધા ધોરણે રશિયાને જવાબદાર ઠેરવ્યું
આ ભયાનક ઘટનાએ રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે બ્લેક સી (કાળા સમુદ્ર) વિસ્તારમાં સામાન્ય નાગરિકોના જહાજોની સલામતી અને વૈશ્વિક દરિયાઈ વેપાર પર મોટો પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધો છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાવિકો પર થયેલા સૌથી ગંભીર હુમલાઓ પૈકીનો એક હોવાથી ભારત માટે આ બાબત અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે દરિયાઈ પરિવહનની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ, યુક્રેને આ હુમલા માટે સીધા ધોરણે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રીએ દાવો કર્યો હતો કે રશિયાએ ફરી એકવાર યુક્રેનના માનવતાવાદી દરિયાઈ કોરિડોરમાંથી પસાર થઈ રહેલા સામાન્ય નાગરિકોના માલવાહક જહાજને નિશાન બનાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આ જહાજ પર ભારત અને સીરિયાના નાગરિકો સવાર હતા. આ હુમલામાં યુક્રેનિયન મરીન પાઇલટ અને 4 ભારતીય ક્રૂ સભ્યોના મોત થયા છે.
યુક્રેને આક્ષેપ કર્યો છે કે આ માત્ર એક જહાજ પરનો હુમલો નથી પરંતુ આંતરરાષ્ટ્રીય ફૂડ સપ્લાય ચેન અને વૈશ્વિક વેપારની સ્વતંત્રતા પરનો હુમલો છે. યુક્રેનિયન પ્રવક્તાના મતે રશિયા પોતાના લશ્કરી આક્રમણમાં માનવ જિંદગીની કોઈ પરવા કરતું નથી. યુક્રેને જાહેરાત કરી છે કે તે આ ગંભીર મુદ્દાને ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) અને તેના આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સમક્ષ ઉઠાવશે તથા રશિયા સામે વધુ સખત વૈશ્વિક પ્રતિબંધો મૂકવાની માંગ કરશે.

