Site icon Revoi.in

બાંગ્લાદેશના ગૃહમંત્રી અને અમિત શાહ વચ્ચે બેઠક મળી, લઘુમતીઓ અને મંદિરો ઉપર હુમલા મુદ્દે ચર્ચા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાનને મળ્યા હતા. આ દરમિયાન શાહે પાડોશી દેશમાં લઘુમતીઓ અને મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશી મંત્રી સાથે સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, અમિત શાહે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો અને મંદિરો પર હુમલાનો મુદ્દો તેમની સામે ઉઠાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાનને ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સની બાજુમાં મળ્યા હતા, એમ ગૃહ મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું. બંને પક્ષોએ સરહદ વ્યવસ્થાપન અને સામાન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી.

બાંગ્લાદેશના ગૃહમંત્રી ખાન અહીં ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત ત્રીજા મંત્રી સ્તરીય ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા છે. શુક્રવારે, કોન્ફરન્સમાં 75 થી વધુ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 450 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

અગાઉ, કોન્ફરન્સને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરો છે, પરંતુ આતંકવાદને ફાઇનાન્સિંગ તેનાથી પણ વધુ ખતરનાક છે. આતંકવાદીઓ દ્વારા કટ્ટરપંથી સામગ્રી ફેલાવવા માટે ડાર્કનેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી ક્રિપ્ટોકરન્સીના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે. શાહે કહ્યું કે ડાર્કનેટ પેટર્નનો ઉકેલ શોધવાની જરૂર છે.