નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સુરક્ષિત મનાતા પાકિસ્તાનમાં હિજબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર બશીર અહમદ પીર ઉપર અજાણ્યા શખ્સોએ સરાજાહેર ગોળીમારીને તેની હત્યા કરી હતી. આતંકવાદી બશીલ અહમદ પીર હિજબુલ, લશ્કર જેવા આતંકી સંગઠનોને આગળ વધારવા માટે પૂર્વ આતંકવાદીઓને ભેગા કરવાની કામગીરી કરતો હતો. એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરમાં બશીરે યુવાનોને આતંકવાદી તાલિમ આપી ચુક્યો હતો. લેપા સેક્ટરમાં લાંબા સમય સુધી સક્રિય રહેલો બશીર પીઓકેમાં આતંકી શિબીરો અને લોન્ચ પેડ્સનું સમન્વય કરતો હતો.
પાકિસ્તાનની રાવલપીંડીમાં આતંકવાદી બશીરની સરાજાહેર ગોળી મારવાની ઘટનાને પગલે લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. બશીરની હત્યા કોણે અને કેમ હત્યા કરી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે.