Site icon Revoi.in

તામિલનાડુના રાજકારણમાં મોટો ઉલટફેર: BJP છોડ્યા બાદ અન્નામલાઈ નવી રાજકીય પાર્ટી બનાવશે

Social Share

ચેન્નઈ, 5 જૂન 2026: દક્ષિણ ભારતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તામિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પોતાની નવી રાજકીય પાર્ટી સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ એક પ્રાદેશિક અને નવા રાજકીય આંદોલનની શરૂઆત કરી રહ્યા છે, જે આગામી સમયમાં એક મજબૂત રાજકીય પક્ષનું સ્વરૂપ ધારણ કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (ટ્વિટર) પર જનતાને સંબોધિત કરતા અન્નામલાઈએ લખ્યું કે, “આજથી એક નવો રાહ, એક નવું આંદોલન અને એક નવી રાજકીય યાત્રા શરૂ થઈ રહી છે.”

પોતાના ભવિષ્યના રાજકીય રોડમેપ અંગે વાત કરતા અન્નામલાઈએ જણાવ્યું હતું કે, હવે તેમના રાજકીય લક્ષ્યો પહેલા કરતા ઘણા મોટા અને વ્યાપક થઈ ગયા છે. તેમણે હવે વધુમાં વધુ લોકોને સાથે લઈને આગળ વધવું છે. તેમણે દાવો કર્યો હતો કે, “ભાજપમાં રહેવા છતાં મેં ક્યારેય તામિલનાડુની આગવી ઓળખ, અહીંની સમૃદ્ધ સંસ્કૃતિ અને રાજ્યના જળ અધિકારો જેવા મહત્વના પ્રાદેશિક મુદ્દાઓ પર કોઈ પણ પ્રકારનું સમજૂતી કે બાંધછોડ કરી નથી.”

અન્નામલાઈએ ભાજપ સાથે છેડો ફાડવાના પોતાના નિર્ણય અંગે ખુલાસો કરતા કહ્યું કે, તેમણે આ નિર્ણય સંપૂર્ણ ગરિમા, આત્મસન્માન અને ગૌરવ સાથે લીધો છે, જેથી તામિલનાડુની ધરતી પર એક તદ્દન નવી શૈલીના રાજકારણની શરૂઆત કરી શકાય. તેમણે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, “મેં 4 ડિસેમ્બર 2025ના રોજ જ પક્ષના વરિષ્ઠ નેતૃત્વને રાજીનામું આપવાની મારી ઇચ્છા જણાવી દીધી હતી, પરંતુ મને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.”

પોતાના આંતરિક સંઘર્ષનો ઉલ્લેખ કરતા પૂર્વ આઈપીએસ અધિકારીએ ભાવુક થઈને જણાવ્યું કે, “મારા મનમાં હંમેશા એ દ્વંદ્વ અને મૂંઝવણ રહેતી હતી કે હું પહેલા ભાજપનો એક વફાદાર કાર્યકર છું કે તામિલનાડુનો દીકરો? આખરે મારી અંતરાત્માએ મને તામિલનાડુના હિતો માટે લડવાની પ્રેરણા આપી અને મેં મારા અલગ રસ્તે આગળ વધવાનો મક્કમ નિર્ણય કર્યો.” આ સાથે જ તેમણે મોટી જાહેરાત કરી કે તેમની નવી રાજકીય પાર્ટી આગામી તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઝંપલાવશે.

ભાજપના પ્રદેશ પ્રભારી નીતિન નવીનને ગત 2 જૂનના રોજ મોકલેલા પોતાના સત્તાવાર રાજીનામા પત્રમાં અન્નામલાઈએ લખ્યું હતું કે, તેઓ તામિલનાડુમાં વિકાસલક્ષી અને સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત રાજકારણના પોતાના વિઝનને લઈને કેન્દ્રીય પક્ષ નેતૃત્વ પર વધુ બોજ કે દબાણ લાવવા નથી માંગતા. અન્નામલાઈના આ આકરા પગલા બાદ તામિલનાડુના પ્રાદેશિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ડીએમકે તેમજ એઆઈએડીએમકે જેવા સ્થાપિત પક્ષો માટે પણ હવે સમીકરણો બદલાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે.

Exit mobile version