Site icon Revoi.in

ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વર્ષો જૂના છે: વિદેશ મંત્રી એસ. જયશંકર

Social Share

નવી દિલ્હી, 04 ઓગસ્ટ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી બખ્તિયાર સૈદોવ સાથે વાતચીત કરી હતી. બંને મંત્રીઓએ વ્યૂહાત્મક ભાગીદારીની વ્યાપક સમીક્ષા કરી હતી અને તેમાં ઊર્જા, માળખાગત સુવિધાઓ, વેપાર, સંરક્ષણ, શિક્ષણ તથા સંસ્કૃતિ પર વિશેષ ભાર મૂક્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે તેમણે પ્રાદેશિક સ્તરના મુખ્ય પડકારો અંગે પણ ચર્ચા કરી હતી અને ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે બહુપક્ષીય સહયોગના વિસ્તાર અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.

બેઠકમાં પોતાના પ્રારંભિક સંબોધનમાં વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બાંધકામ, ઊર્જા, સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર આશરે એક અબજ ડોલરનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર, ખાસ કરીને આતંકવાદ, ઉગ્રવાદ અને નશીલા પદાર્થોની હેરાફેરીના સંદર્ભમાં બંને દેશો સમાન અભિગમ ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત અને ઉઝબેકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સહિત વિવિધ દ્વિપક્ષીય અને બહુપક્ષીય મંચો પર સહયોગ સાધે છે. ડૉ. જયશંકરે કહ્યું કે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો સામનો કરવા માટે ઉઝબેકિસ્તાનની સરકાર અને ત્યાંના લોકોએ અપનાવેલા મક્કમ વલણની ભારત પ્રશંસા કરે છે. તેમણે નોંધ્યું હતું કે બંને દેશોએ આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો અને સરહદ પારના આતંકવાદ પ્રત્યે ‘શૂન્ય સહિષ્ણુતા’ (zero tolerance)નું વલણ દર્શાવ્યું છે.

વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે. તેમણે કહ્યું કે ભારત ઉઝબેકિસ્તાનને તેના ‘વિસ્તૃત પડોશ’નો હિસ્સો માને છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવતીકાલની બેઠક ભારત-ઉઝબેકિસ્તાન સંબંધોને વધુ મજબૂત બનાવશે.

વધુ વાંચો: વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોને લગતા કેસોમાં FIR પાછી ખેંચવા માટે સરકાર સ્વતંત્ર: સુપ્રીમ કોર્ટ

Exit mobile version