વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોને લગતા કેસોમાં FIR પાછી ખેંચવા માટે સરકાર સ્વતંત્ર: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 04 ઓગસ્ટ 2026: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી સરકાર અને વિવિધ રાજ્યોની સરકારો જંતર-મંતર તથા દેશભરના અન્ય સ્થળોએ તાજેતરમાં થયેલા દેખાવોમાં સામેલ વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ નોંધાયેલી FIR બંધ કરવા અથવા પાછી ખેંચવા માટે સ્વતંત્ર છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતના નેતૃત્વ હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સ્પષ્ટ કર્યું કે 28 જુલાઈના કોર્ટના આદેશમાં જેમાં ફોજદારી કેસોમાં સંડોવાયેલા વિરોધ પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, માત્ર ગંભીર અને ઘૃણાસ્પદ ગુનાઓમાં સંડોવાયેલા લોકોનો જ ઉલ્લેખ હતો.
NEET પેપર લીક સામે 20 જુલાઈએ જંતર-મંતર અને અન્ય સ્થળોએ થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી અતિશય કાર્યવાહીના આક્ષેપ કરતી અરજીઓ પર કોર્ટ સુનાવણી કરી રહી હતી. વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘાયલ થયેલા પોલીસ અધિકારીઓના પરિવારોએ પણ પોલીસ કર્મચારીઓ પર હુમલો થયાનો આક્ષેપ કરીને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ન્યાયપીઠે જણાવ્યું હતું કે પોલીસની અતિશય કાર્યવાહીના આક્ષેપોની તપાસ કરવા માટે પોલીસ અધિકારીઓની બનેલી વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવા અથવા નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં સમિતિની નિમણૂક કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ મામલાની સુનાવણી હવે 18ઓગસ્ટે થશે.
વધુ વાંચો: આસામ: સગીરા પર બળાત્કાર અને હત્યાના કેસમાં ત્રણ સગીરોની ધરપકડ


