- રાજીવ ગાંધી ફાઉન્ડેશનના કાર્યક્રમથી ઊભો થયો વિવાદ, સોશિયલ મીડિયામાં ગાંધી પરિવારને લઈને ચર્ચાનું તોફાન
હેમંત પરમાર દ્વારા
દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. રાજકુમાર ભાટી દ્વારા બ્રાહ્મણ સમાજ અંગે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ હવે સમગ્ર મામલો સીધો કોંગ્રેસ અને ગાંધી પરિવાર સુધી પહોંચી ગયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી પોસ્ટ્સ અને તસવીરોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાર્યક્રમનું આયોજન રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
વાયરલ દાવાઓ અનુસાર, કાર્યક્રમ દરમિયાન ભાટીએ બ્રાહ્મણોને લઈને અત્યંત અપમાનજનક અને ઉશ્કેરણીજનક શબ્દો વાપર્યા હતા. જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આવી ભાષા અન્ય કોઈ ધર્મ અથવા સમાજ માટે વપરાઈ હોત, તો શું દેશના કહેવાતા ઉદારવાદીઓ અને સેક્યુલર ચહેરાઓ એટલા જ મૌન રહ્યા હોત?
વિવાદનું કેન્દ્ર બન્યું છે રાજીવ ગાંધી ફાઉન્ડેશન. કારણ કે આ જ ફાઉન્ડેશનમાં સોનિયા ગાંધી અધ્યક્ષ તરીકે જોડાયેલા છે અને રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા વાડ્રા પણ તેની સાથે સંકળાયેલા હોવાનું જણાવવામાં આવે છે. વિરોધીઓ હવે આક્ષેપ કરી રહ્યા છે કે શું આ ફક્ત એક વ્યક્તિના શબ્દો હતા કે પછી આવી વિચારસરણીને મંચ આપનાર સંસ્થાઓ પણ તેની જવાબદારીથી બચી શકે નહીં?
કાર્યક્રમમાં જાતિપ્રથા વિષયક એક પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આવા મંચો પર ચર્ચા માટે હંમેશા હિંદુ સમાજની ખામીઓ જ કેમ પસંદ કરવામાં આવે છે? હલાલા, ત્રણ તલાક, મુતાહ અથવા મહિલાઓને બુરખામાં કેદ રાખતી માનસિકતા જેવી બાબતો પર લખાયેલા પુસ્તકોને આવા પ્રગતિશીલ મંચો કેમ મળતા નથી?
આ પણ વાંચોઃ એક દેશ, એક ચૂંટણી શા માટે દેશહિતમાં છે? જાણો JPCએ શું કહ્યું?
રાજકીય નિરીક્ષકો માને છે કે આવા મુદ્દાઓ હવે માત્ર સામાજિક ચર્ચા સુધી સીમિત રહેતા નથી. ચૂંટણી નજીક આવે ત્યારે આવાં નિવેદનો રાજકીય હથિયાર બની જાય છે. કોંગ્રેસ વિરોધી વર્ગો આ ઘટનાને હિંદુ વિરોધી માનસિકતા સાથે જોડીને રજૂ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી હજુ સુધી સ્પષ્ટ અને સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી.
સોશિયલ મીડિયામાં કેટલાક લોકો કટાક્ષ કરતા લખી રહ્યા છે કે દેશમાં હવે અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે હિંદુઓને ગાળો આપવાની પરમિટ બની ગઈ છે. બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે કોઈપણ સમાજ કે વર્ગ વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ અસ્વીકાર્ય હોવો જોઈએ, પછી તે વ્યક્તિ કોઈપણ વિચારધારાનો કેમ ન હોય.
હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું રાજકીય અને સામાજિક સંસ્થાઓ પોતાના મંચ પરથી બોલાતા શબ્દોની નૈતિક જવાબદારી લેશે કે પછી હંમેશાની જેમ આ તો વ્યક્તિગત મત હતો કહીને મામલો દબાવી દેવામાં આવશે? કારણ કે હવે લોકો માત્ર ભાષણો નહીં, પરંતુ મંચ પાછળની માનસિકતા પણ વાંચવા લાગ્યા છે.

