Site icon Revoi.in

કેનેડાનો યુ-ટર્નઃ નિજ્જર હત્યા કેસમાં ભારતને આપી ક્લીન ચીટ

Social Share

ઓટાવા, 26 ફેબ્રુઆરી 2026: ભારતની વિશ્વસ્તરે વધતી આર્થિક અને રાજકીય શક્તિનો પ્રભાવ હવે ઉત્તર અમેરિકાના દેશો પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર પાયાવિહોણા આક્ષેપો કરનાર કેનેડાએ હવે સુર બદલ્યો છે. કેનેડાની નવી સરકારે સ્વીકાર્યું છે કે, મની ધરતી પર થતા ગુનાઓમાં ભારતની કોઈ સંડોવણી નથી. આ મોટા વળાંક સાથે જ કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની ભારતની મુલાકાતે આવી રહ્યા છે, જેને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની દિશામાં એક ઐતિહાસિક કદમ માનવામાં આવે છે.

જસ્ટિન ટ્રુડોના કાર્યકાળના અંતિમ દિવસોમાં ભારત અને કેનેડાના સંબંધો અત્યંત ખરાબ તબક્કામાં પહોંચી ગયા હતા. તત્કાલીન ટ્રુડો સરકારે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવી રાજદ્વારી મડાગાંઠ ઉભી કરી હતી. જોકે, ટ્રુડોની સત્તામાંથી વિદાય બાદ માર્ક કાર્નીએ સત્તા સંભાળતા જ ભારત સાથેના વ્યાપારી અને રાજકીય સંબંધોને પુનઃજીવિત કરવાની કવાયત હાથ ધરી છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, કેનેડાના વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, “જો ભારત કેનેડાની લોકશાહી પ્રક્રિયામાં દખલગીરી કરતું હોત, તો વડાપ્રધાન કાર્ની ક્યારેય ભારત પ્રવાસે ન જાય.” અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે ભારત સરકાર સાથે આ મુદ્દે વિગતવાર ચર્ચાઓ થઈ છે અને વિદેશી હસ્તક્ષેપને રોકવા માટે કેનેડા પાસે મજબૂત સુરક્ષાના ઉપાયો છે.

નિષ્ણાતો માને છે કે કેનેડાના આ વલણ પાછળ ભારતનું વિશાળ બજાર અને મજબૂત અર્થતંત્ર જવાબદાર છે. હાલમાં જ્યારે અમેરિકા અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે, ત્યારે કેનેડા ચીન અને ભારત જેવા એશિયાઈ દેશો સાથે વ્યાપારી સંબંધો ગાઢ બનાવવા માંગે છે.

આ પણ વાંચોઃ NCERT ના પુસ્તક વિવાદમાં શિક્ષણ વિભાગની માફી છતા સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ

Exit mobile version