મુંબઈ, 8 એપ્રિલ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર)ની જાહેરાતના સમાચારની વિશ્વભરના બજારો સહિત ભારતીય વાયદા બજાર (MCX) પર સીધી અને સકારાત્મક અસર જોવા મળી છે. આજે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીમાં ભારે તેજીનો સંચાર થયો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં જોવા મળેલો તોતિંગ ઉછાળો રોકાણકારો માટે આશ્ચર્યજનક રહ્યો છે.
વાયદા બજારમાં આજે ચાંદીમાં જોરદાર લેવાલી જોવા મળી હતી. ચાંદીનો ગત બંધ ભાવ રૂ. 2,31,348 હતો, જેની સામે આજે બજાર ખુલતા જ ભાવ રૂ. 2,40,601ના સ્તરે પહોંચી ગયા હતા. તેજીનો દોર અહીં જ અટક્યો નહોતો અને દિવસ દરમિયાન ચાંદીએ રૂ. 2,44,770ની ઐતિહાસિક હાઈ સપાટી વટાવી હતી.
સોનાના ભાવમાં પણ આજે રોકાણકારોને મોટો નફો થયો છે. સોનાનો ગત બંધ ભાવ રૂ. 1,50,289 હતો, જે આજે વધીને રૂ. 1,53,550 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ રૂ. 1,53,944ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો. જે ગઈકાલ કરતા રૂ. 3,093 (+2.06 ટકા) નો ઉછાળો દર્શાવે છે.
બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, આ અચાનક આવેલી તેજી પાછળ મુખ્યત્વે મધ્ય-પૂર્વના તણાવમાં મળેલી રાહત જવાબદાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે સપ્તાહ માટે હુમલા સ્થગિત કરવાની જાહેરાતને પગલે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ઈરાન દ્વારા હોર્મુઝ સામુદ્રધુની ખોલવાની તૈયારી અને વૈશ્વિક વેપાર ફરી શરૂ થવાની આશાએ બજારમાં નવી લેવાલી નીકળી છે. યુદ્ધની અનિશ્ચિતતા ઘટતા વૈશ્વિક સપ્લાય ચેઈન સુધરવાના સંકેતો મળી રહ્યા છે, જેની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર પડી છે. રોકાણકારો અને ઝવેરી બજારના વેપારીઓ માને છે કે જો આગામી બે અઠવાડિયા સુધી શાંતિ જળવાઈ રહેશે તો બજારમાં વધુ સ્થિરતા અને નવી તેજી જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનારા બે સરકારી કર્મચારીઓની સેવાઓ રદ

