નવી દિલ્હી, 25 માર્ચ 2026: દેશમાં એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના બુકિંગની સમયસીમામાં ફેરફારને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં ચાલી રહેલી ચર્ચાઓ પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે, બુકિંગના નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી અને હાલની વ્યવસ્થા જ અમલમાં રહેશે.
છેલ્લા કેટલાક દિવસોથી એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે, સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે મુજબઉજ્જવલા યોજના હેઠળ 45 દિવસ પછી બુકિંગ, સિંગલ સિલિન્ડર કનેક્શનમાં 25 દિવસના સમયગાળા અને ડબલ સિલિન્ડર કનેક્શનમાં 35 દિવસના સમયગાળામાં જ બુકીંગ થશે. સરકારે આ તમામ દાવાઓને ભ્રામક અને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ નવી સમયસીમા લાગુ કરવામાં આવી નથી.
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એલપીજી રિફિલ બુકિંગ માટેની જૂની પદ્ધતિ જ ચાલુ રહેશે, જે તમામ પ્રકારના કનેક્શન પર સમાન રીતે લાગુ પડે છે. શહેરી વિસ્તારમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસના સમયસીમા યથાવત છે. સરકારે જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર વહેતી થતી આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને તેને આગળ ન ફેલાવવી. મંત્રાલયે ગ્રાહકોને ગભરાટમાં આવીને બુકિંગ ન કરવા સલાહ આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠામાં કોઈ અછત સર્જાવાની શક્યતા નથી, તેથી ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી.

