Site icon Revoi.in

વાવાઝોડાની ચેતવણીને અવગણીને મધદરિયે પહોંચી ગયેલા 8 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવી લીધા

Social Share

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાની પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી હતી. આમ છતાં કેટલાક માછીમારોએ ચેતવણી હોવા છતાં તેને લક્ષમાં ન લઈને મધ દરિયે માછીમારી કરવા પહોંચી ગયા હતા. નવસારી કૃષ્ણપુરની મીના બોટના 8 માછીમારો પોરબંદરથી 22 નોટીકલ માઇલ દૂર દરિયામાંથી હેમખેમ મળી આવતા તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. કોસ્ટગાર્ડે તમામને હેમખેમ પોરબંદર ઉતાર્યા હતા. જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામની બોટ નં. જીજે-15-એમએમ-2430 લઇ 8 માછીમારો ગણદેવીના બીલીમોરા બંદરેથી માછીમારી કરવા માટે 13મી મે ના રોજ નીકળ્યા હતા. માછીમારી કરતા કરતા તેઓ દરિયામાં ખૂબ આગળ વધી ગયા હતા. દરમિયાન તાઉતે વાવાઝોડું આવતા તેઓ દરિયામાં જ ફસાઇ ગયા હતા.

તાઉ-તે વાવાજોડાનું રૌદ્ર સ્વરૂપ જોઈને કાંઠે પહોંચવા માટે માછીમારોએ બોટને ઝડપભેર આગળ ધપાવી હતી, પરંતુ તેઓ કિનારે પહોંચી શક્યા ન હતા. જેને કારણે તેઓ દરિયામાં જ અટવાય પડ્યા હતા. આ બાબતની નવસારી જિલ્લા માછીમારોને થતાં આ બાબતે કોસ્ટગાર્ડને જાણ કરી તેમની શોધખોળ કરવા અનુરોધ કરાયો હતો. જેને લઇ કોસ્ટગાર્ડે તાઉતેની કહેર વચ્ચે તમામ માછીમારોને શોધી કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, તાઉતે વાવાઝોડાને લઇ કોસ્ટગાર્ડ માટે પણ કપરી સ્થિતિ ઉભી થઇ હતી. દરિયામાં વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાતા માછીમારોના જીવ પણ પડીકે બંધાયા હતા. આ દરમિયાન કોસ્ટગાર્ડે તેમને બચાવી લેવા બીલીમોરાથી લઇ પોરબંદર-ઓખા સહિતના વિસ્તારોમાં મધદરિયે શોધખોળ હાથ ધરી હતી. જેમાં કોસ્ટગાર્ડની ટીમને ગત મોડી રાતે આ તમામ માછીમારોને શોધી કાઢવામાં સફળતા મળી હતી. પોરબંદરથી લગભગ 22 નોટીકલ માઇલ દૂર કોસ્ટગાર્ડને બોટ દેખાતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બોટમાં તમામ માછીમારો સહીસલામત જણાતાં કોસ્ટગાર્ડોને પણ રાહત થઇ હતી. તમામને એક પછી એક બોટમાંથી ખસેડી સલામત સ્થળે બોટ સાથે પોરબંદરના કાંઠે લઇ જવાયા હતા અને જરૂરી તમામ સુવિધા ઉભી કરી આપી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ માછીમારોએ સતત 24 કલાક સુધી તાઉતેના કહેર સામે બાથ ભીડી ઝઝુમતા રહ્યા હતા. આખરે તેઓ કિનારે પહોંચવામાં સફળ થતાં રાહતનો શ્વાસ લીધો હતો. આ બાબતની જાણ કોસ્ટગાર્ડે નવસારી સ્થિત તેમના પરિવારજનોને કરતા તમામ માછીમારોના પરિવારજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. તમામને પોરબંદરથી નવસારી પરત લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી છે. જોકે, તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. હાલ, તમામ પરિવારજનો માછીમારોની ઘરે પરત ફરવાની રાહ જોઇ રહ્યા છે.