Site icon Revoi.in

આણંદના ડેમોલ ગામમાં કોરોનાએ માથું ઉચક્યું : સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરાયું જાહેર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આણંદના ડેમોલ ગામમાં કોરોનાને માથુ ઉચકતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગામમાં માત્ર 3 જ દિવસમાં 20 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગ્રામજનો દ્વારા સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ તાલુકામાં 3 હજારની વસતી ધરાવતા ડેમોલ ગામનું મહિલા મંડલ લોકડાઉન બાદ ધાર્મિક યાત્રાએ ગયું હતું. તેમજ એક જ અઠવાડિયા પહેલા પરત ફર્યું હતું. ત્યાર બાદ ગામના યુવાનો ધાર્મિક યાત્રા ઉપર ગયા છે. દરમિયાન ગામમાં કેટલાક લોકો તાવ, શરદી અને ઉધરસની ફરિયાદ કરતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 3 દિવસના સમયગાળામાં 20 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા.

નાનકડા ગામમાં 20 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગની 8 ટીમો દ્વારા ગામમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ગ્રામજનોએ કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે કેટલીક દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.