અમદાવાદઃ ગુજરાતમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કર્યાં બાદ ઠેર-ઠેર વિરોધના સૂર ઉઠ્યાં છે. અમદાવાદ સહિત છ મનપામાં ભાજપ દ્વારા નવા નિયમોના આધારે ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં 80 ટકા જેટલા સિટીંગ કોર્પોરેટરનો પત્તા કપાયાં છે. જેથી કોર્પોરેટર અને તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ ભાજપ દ્વારા યુવા અને નવા ચહેરાઓને તક આપવામાં આવી હોવાનું સિનિયર નેતાએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નવા માપદંડ તૈયાર કરવામાં આવ્યાં હતા. જે અનુસાર 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારને ટિકીટ નહીં આપવી, 60 વર્ષથી વધારે ઉંમરના નેતાઓને ટિકીટ નહીં આપવી તથા નેતાઓના સંબંધીઓને ટિકીટ નહીં આપવનો નિર્ણય લેવાયો હતો. ભાજપ દ્વારા લંબાણપૂર્વકની ચર્ચા બાદ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટ મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અનેક સિટીંગ કોર્પોરેટરોને પડતા મુકવામાં આવ્યાં હતા. જેથી આવા કોર્પોરેટરો અને તેમના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં નેતાઓના સંબંધીઓને પણ ટિકીટ આપવામાં આવી નથી. જેથી કેટલાક નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. અમદાવાદમાં ભાજપે આ ચૂંટણીમાં એક પણ મુસ્લીમને ટિકીટ આપી નથી. વાસ્તવમાં પુરા ગુજરાતમાં ફફકત જામનગરમાં પક્ષે બે મુસ્લીમોને વોર્ડ નં.12માં ટિકીટ આપી છે. કેટલાક આગેવાનોએ ભાજપના સિનિયર નેતાઓને ટીકીટ કપાતા રજૂઆત કરી હોવાનું પણ જાણવા મળે છે. સિટીંગ કોર્પોરેટર અને તેમના કાર્યકરોની નારાજગી દૂર કરવા માટે ભાજપ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે.